દેશભરમાં અસંગઠિત શ્રમયોગીઓના કલ્યાણાર્થે “ઈ-શ્રમ કાર્ડ” કામગીરી ઝુંબેશ સ્વરૂપે ચાલી રહી છે ત્યારે રાજકોટ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જેતપુર તાલુકાના ૪૮ જેટલા ગામમાં “શ્રમસેતુ” કેમ્પનું આયોજન થઈ રહ્યું છે.
તાલુકા વિકાસ અધિકારીશ્રી અને મામલતદારશ્રીની સૂચના અનુસાર દરેક તાલુકામાં ઈ-શ્રમ મેગા ડ્રાઈવ અન્વયે “શ્રમસેતુ” કેમ્પ દ્વારા માર્ચ મહિનામાં નક્કી કરાયેલા જુદા જુદા પાંચ દિવસ દરમિયાન શ્રમિકોને “ઈ-શ્રમ કાર્ડ” કાઢી આપવામાં આવશે.
તમામ ગ્રામ પંચાયતના અસંગઠિત ક્ષેત્રના કામદારોનું ઈ-ગ્રામ સેન્ટર પર રજીસ્ટ્રેશન કરી ઈ-શ્રમ કાર્ડ કાઢી આપવા માટે તલાટી મંત્રીશ્રીઓ તથા વી.સી.ઈ મારફત આ કામગીરી કરવામાં આવી રહી છે.
આ કામગીરી કરવા માટે વિસ્તરણ અધિકારી, ખેતી, આત્મા, પશુપાલન, આરોગ્ય વિભાગના આશા વર્કરો, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, સુપરવાઈઝર, આંગણવાડી વર્કરો, મધ્યાહન ભોજન સંચાલક, સસ્તા અનાજની દુકાનના સંચાલકો, સખીમંડળ, દૂધ મંડળી, સહકારી મંડળી, મનરેગા, મિશન મંગલમ, પી.એમ.જે.એ.વાય, એસ.બી.એમ, શિક્ષણ, સહિતના વિભાગો દ્વારા જરૂરી સંકલન કરી બાકી રહેતા તમામ લાભાર્થીઓને ઈ-શ્રમ કાર્ડ કાઢવાની કામગીરીમાં મદદરૂપ બની રહ્યા છે.


