મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ પંથકમાં બીજા દિવસે પણ વધુ એક ગમખ્વાર અકસ્માત અમદાવાદ-ઈન્દોર હાઇવે પર સર્જાયો છે. જેમાં ફાગવેલ પાસે નંબર વગરના જેસીબીએ મોટરસાયકલને ટક્કર મારતા બે યુવાનોના જીવ ગયા છે. આ અકસ્માતમાં બે પરિવારના કુળના દિપક બૂઝાયા છે. સમગ્ર મામલે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મોટરસાયકલના ચાલક અને પાછળ બેઠેલા વ્યક્તિ બન્નેના મોત કઠલાલ તાલુકામાંથી અમદાવાદ-ઈન્દોરને જોડતો હાઈવે પસાર થાય છે. ગતરોજ રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ આ હાઈવેના ફાગવેલ નજીક હાઈસ્કૂલના કટ પર નંબર વગરના જેસીબીએ મોટરસાયકલ નંબર (GJ 07 BG 5346)ને ટક્કર મારી હતી. આથી મોટરસાયકલના ચાલક અને પાછળ બેઠેલા વ્યક્તિ બન્ને રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે બન્નેના ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યા હતા.
પોલીસની તપાસમા આ મરણજનારની ઓળખ થઈ હતી. જેમાં મૃતક સંજય સુનિલભાઈ રાઠોડ અને તેના મિત્ર વિપુલ ભવાનભાઈ ચૌહાણ (રહે,મપારીયા) હોવાનુ સામે આવ્યું હતું. આ સમગ્ર બનાવ સંદર્ભે સંજયના કૌટુંબિક સભ્ય સોમાભાઈ ધુળાભાઈ રાઠોડ (રહે.ફાગવેલ)એ કઠલાલ પોલીસમાં ઉપરોક્ત નંબર વગરના જેસીબી ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં બે પરિવારો પર આફતોનો પહાડ તૂટી પડ્યો છે. મરણજનાર માંડ યુવાનીના ઉંબરે હોવાથી આ ઘટનામાં બે પરિવારના કુળનો દિપક બૂઝાયા છે.