જામનગર
જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકા પાસે આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી. ભંગાર તોડતી સમયે જાેરદાર બ્લાસ્ટ થતા વૃદ્ધ દંપતી ગંભીર રીતે ઘવાયું હતું. જેમાં પતિનું મોત નિપજ્યું છે. જ્યારે પત્નીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા વિજયનગર પાસે એક વૃદ્ધ દંપતી દુકાન ભાડે રાખી ભંગાર તોડવાનું કામ કરતું હતું. દરરોજની માફક પણ લખમણભાઈ અને તેમના પત્ની પોતાની દુકાન પર ભંગાર તોડી રહ્યા હતા. ત્યારે અચાનક ભંગારમાં કોઈ વિસ્ફોટક પદાર્થ આવી ગયો હોય તેના પર હથોડાનો ઘા લાગતા જ જાેરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે લખમણભાઈનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પત્ની પણ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વિજયનગર વિસ્તારમાં થયેલો આ બ્લાસ્ટ એટલો જાેરદાર હતો કે ઘટનાસ્થળ પરથી દૂર ઉભેલી રિક્ષાના કાચ પણ તૂટી ગયા હતા. આસપાસના વિસ્તારમાં જાેરદાર ધડાકો સંભળાતા લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. ભંગાર તોડતી સમયે બ્લાસ્ટની ઘટના સામે આવ્યા બાદ જામનગર પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે અને કઈ વસ્તુમાં બ્લાસ્ટ થયો તેને લઈ જીણવટ ભરી તપાસ હાથ ધરી છે. ભંગારમાં કોઈ વિસ્ફોટક પદાર્થ આવી ગયો હોય અને અજાણતા તેના પર હથોડાનો ઘા લાગતા બ્લાસ્ટ થયાનું અનુમાન છે. જાે કે, સાચુ કારણ તો પોલીસ તપાસ બાદ જ માલૂમ પડશે.
