નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ
આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તા.૨૪ એપ્રિલ, ૨૦૦૩ના
રોજ સ્વાગત કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. રાજ્યમાં સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થતાં "સ્વાગત સપ્તાહ"
કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા રજૂ કરવામાં આવે તે પ્રશ્નોનું ત્વરાથી
હકારાત્મક રીતે નિરાકરણ થાય તે માટે વિશેષ પ્રયાસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે.આ સ્વાગત કાર્યક્રમ વધુ સુદ્રઢ
બને અને તેનો લાભ છેવાડાના નાગરિકોને અસરકારક રીતે મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહે તમામ નોડલ
અધિકારીઓ સાથે બેઠક યોજી ગ્રામ્ય અને તાલુકા સ્વાગત કાર્યક્રમના આયોજન અંગેની સમીક્ષાઓ કરી જરૂરી માર્ગદર્શન પુરૂં
પાડ્યું હતું.
સ્વાગત સપ્તાહ અંતર્ગત તા.17/04/23 સુધી ગ્રામ્ય કક્ષાએ વિવિધ 24 સ્થળોએ ખાસ કેમ્પનું આયોજન કરી અરજીઓ
સ્વીકારવામાં આવશે જ્યારે તા.24 એપ્રિલથી 26 એપ્રિલ દરમિયાન વિવિધ તાલુકા મથકોએ સ્વાગત કાર્યક્રમ યોજાશે જેમાં
જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.તેમજ તા.27 એપ્રિલના રોજ
જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે.


