પેટા
પૈસાનો વહીવટ સાચો પણ હની ટ્રેપ કરનાર મહિલા સહિતની ત્રિપુટીને પૈસા આપ્યા હોવાની અને વ્યાજખોરોની કનડગતની વાત વાહિયાત નીકળી હોવાનો પોલીસનો ખુલાસો
ગઈકાલે વહેલી સવારે જેતપુરમાં હર્ષદ વણઝારા નામના રાજકોટ જીઈબીમાં વીજ કર્મી તરીકે નોકરી કરતા યુવાને જેતપુરમાં તેમના મોટાભાઈના ઘરે ગળાફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. પ્રથમ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાની હકીકત સામે આવી હતી પરંતુ બાદમાં યુવાનના મોટાભાઈએ ફરિયાદ નોંધાવતા મામલો હની ટ્રેપનો હોવાનું ખુલ્યું છે. સ્યુસાઇડ નોટ મળતા તેમાં જાણવા મળેલ કે, આરોપીએ અપરણિત યુવાન પાસેથી લાખો ખંખેરી લીધા હતા. સ્યુસાઇડ નોટમાં 25 લાખ આપી દીધાનું લખાણ છે. ફરિયાદ પરથી જેતપુરના આરોપી સોનલ રાજુ પારમાર, રાજુ હરિ પરમાર (રહે. ટાકુડીપરા, જેતપુર) અને તેના વંથલીના ધણફૂલીયા રહેતા બનેવી શાંતિલાલની ધરપકડ કરવા પોલીસે તજવીજ કરી છે.
જેતપુરના અમરનગર રોડ, સ્વામિનારાયણ નગર રોડ પર રહેતા અને ભેંસાણ ખાતે જેટકોમાં નોકરી કરતા મૃતકના મોટાભાઈ હરેશભાઇ જયંતિલાલ વણઝારા (ઉ.વ.45)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, જેતપુરમાં પત્ની અને સંતાનો સાથે રહું છું. અમે ચાર ભાઈઓ છીએ જેમાં સૌથી મોટો હું છું મારાથી નાના રાજેશભાઇ જે જી.ઇ.બી.માં રાજકોટ નોકરી કરે છે અને તેના પત્ની તથા બાળકો સાથે રાજકોટ ખાતે રહે છે તેનાથી નાના રસીકભાઇ જે ઓટો રીક્ષા ચલાવે છે. અને જેતપુરમાં તેના પત્ની તથા બાળકો સાથે રહે છે અને સૌથી નાનો હર્ષદ જે છેલ્લા ચારેક માસથી જી.ઇ.બી.માં નોકરીએ લાગ્યો હતો. અને રજા હોય ત્યારે અહી મારા ઘરે આવતા અને મારી સાથે જ રહેતો અને અપરણીત હતો અને મારા માતા-પિતા બન્ને ગુજરી ગયા છે.
બોક્સ : સ્યુસાઇડ નોટમાં 25 લાખ આપી દીધાનું લખાણ
હરેશભાઇએ વધુમાં કહ્યું કે, ગત તા.03/02/2022 ના રોજ મારો ભાઇ હર્ષદ મારા ઘરે આવેલ અને બે દીવસ રોકાયેલ સોમવારે તેને નોકરીએ જવાનું હતુ રવિવારે રાતના મને કહેલ કે મારે આવતી કાલે નોકરીએ જવાનું છે વહેલી સવારે ચારેક વાગ્યે બસ છે. તે ટેન્શનમાં હોય તેવું મને લાગતા મેં તેને પૂછતાં તેણે મને કહેલ કે મને હજી સોનલબેન પરમાર, રાજુભાઇ પરમાર અને તેનો બનેવી હેરાન કરે છે. મારી પાસે ખોટી રીતે રૂપિયાની ઉઘરાણી કરે છે. અગાવ આપણે સમાધાન થઇ ગયેલ હોય તેમ છતા મને બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરે છે. જેથી મેં તેને કહેલ કે તુ ટેન્શન મુકી દે હું તેમની સાથે વાત કરી લઇશ તેમ કહી મારા ભાઇને મેં સાંત્વના આપેલ બાદ હું તથા મારો ભાઇ બન્ને હોલમાં સુઇ ગયા હતા. સોમવારે સવારના આશરે સવા પાંચેક વાગ્યે ઉઠી મેં જોયું તો મારો ભાઇ તેની પથારીમાં ન હતો ફળીયામાં ભાઇનો થેલો તથા તેનો જાકીટ પડેલા હતા. મકાનમાં બીજા માળે રૂમમાં જઈ જોયું તો છતમાં ખુણામાં હુકમાં દોરી વતી ગળે ફાસો ખાધેલ મરણ ગયેલ હાલતમાં હતો. જે પછી આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા પોલીસને પણ જાણ કરાઈ હતી. તેણે જ્યાં આપઘાત કર્યો તે રૂમની સેટી પર ચેક બુક પાછળના પાને મારા ભાઈએ હાથેથી લખેલી સ્યુસાઇડ નોટ મળી આવેલી જેમાં લખ્યું હતું કે, મારા મરવાનું કારણ સોનલ રાજુભાઇ પરમાર, રાજુભાઇ હરિભાઇ પરમાર, શાંતીલાલ રાજુના બનેવી (ધણપુલીયા વાળા) આ લોકોએ મારા પાસેથી 25 લાખ પડાવી લીધા મને 5 વર્ષથી હેરાન કરે છે. તેમ લખાણ લખેલ મળ્યું હતું. હરેશભાઈએ કહ્યું કે, આ લોકો અગાઉ પણ મારા ભાઇને હેરાન કરતા હતાં
બોક્સ :
દંપતિની ધરપકડ, આરોપીના બનેવીની ચાલતી શોધખોળ
મૃતક લોહાણા યુવાન હર્ષદના ભાઈ હરેશ વણઝારાની ફરિયાદ પરથી જેતપુરના આરોપી સોનલ પારમાર, રાજુ હરિ પરમાર અને તેના વંથલીના ધણફૂલીયા રહેતા બનેવી શાંતિલાલની ધરપકડ કરવા તજવીજ હાથ ધરતા રાજૂ અને સોનલની ધરપકડ થઈ ગઈ છે. હવે શાંતિલાલને ઉઠાવવા પોલીસ ચારે બાજુ ઝાળ પાથરી દીધી છે.
બોક્સ : બદનામીના ડરે ફરિયાદ ન કરી : હરેશ વણઝારા
મૃતકના ભાઈએ એવું પણ કહ્યું કે મારા ભાઇએ તેમના વિરૂધ્ધ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમા સને-2017માં અરજી પણ આપેલ હતી. આ આરોપીઓ હની ટ્રેપમાં ફસાવી મારા ભાઈએ હેરાન કરતા હતા પણ તે સમયે અરજીમાં રૂ.1,00,000 વ્યાજે લીધેલ અને 4 લાખ ચુકવી દે નહીતર તારી હાલત ખરાબ થશે તેવી આરોપીઓ ધમકી આપતા હોવાનો ઉલ્લેખ હતો. જે-તે વખતે આ અરજી કરેલ ત્યારે મેં તથા મારા ભાઇએ આ સોનલ તથા રાજુને રૂ.4 લાખ આપી સમાધાન કર્યું હતું. મેં મારા ભાઇને ત્યારે પુછેલ કે તારે રૂપીયાની શું જરૂર હતી ત્યારે તેણે કહેલ કે ભાઈ હું આ લોકોના હનીટ્રેપમાં ફસાઇ ગયો હતો. આપણી સમાજમાં બદનામી ન થાય તે માટે મેં રૂપીયા વ્યાજે લીધેલ હોવાનું લખાવેલ હતું. પરંતુ ખરેખર મને છોકરીના ચક્કરમાં ફસાવી હેરાન કરતા હતાં. ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


