જૂનાગઢની ભાગોળે આવેલા ઈવનગર ગામના પ્રવેશ માર્ગનું વાઇડનીંગ તથા રીસર્ફેસીંગના કામનું ધારાસભ્ય શ્રી સંજયભાઇ કોરડિયાએ શાસ્ત્રોક્ત વિધિનુસાર ખાતમુહૂર્ત કર્યું હતું.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂા.૪૯.૩૭ લાખના ખર્ચે ઈવનગરના પ્રવેશ માર્ગનું વાઇડનીંગ તથા રીસર્ફેસીંગનું કામ કરવામાં આવશે. આ પ્રવેશ માર્ગ હાલ ૫.૫ મીટરની પહોંળાઇ ધરાવે છે. જેની પહોંળાઇ વધારીને એટલે કે, વાઇડનીંગ કરીને ૭ મીટર કરવામાં આવશે. આમ, આ રોડ ટુ-લેન બનશે. આ કામમાં ૯૦૦ મીટર જેટલા રોડનું રીસર્ફેસીંગ થશે. જેમાં ૩૬૦ મીટર ડામર અને ૧૫૫ મીટર સીસી રોડનો સમાવેશ થાય છે. ઉપરાંત આ રોડનું ફીનીસીંગ કાર્ય પણ કરવામાં આવશે.
આ વાઇડનીંગ તથા રીસર્ફેસીંગ કામના ખાતમુહૂર્ત પ્રસંગે નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી સોલંકી, અગ્રણી સર્વશ્રી અરવિંદભાઇ ઘાડિયા, ભાવિનભાઇ છત્રાળા, સતિષભાઇ કલોલા અને ઇવનગરના સરપંચ તથા ગ્રામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
