રાજ્ય સરકારે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની પુરસ્કાર રકમમાં માતબર વધારો કર્યો છે. જેને ગિરનાર-આરોહણ સ્પર્ધામાં ભાગ લેતા સ્પર્ધકોએ વધાવ્યો છે અને રાજ્ય સરકારનો આભાર પ્રગટ કર્યો છે.
રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની ગિરનાર આરોહણ-અવરોધ સ્પર્ધામાં પાંચ વખત વિજેતા રહેલ શ્રી લાલા પરમાર જણાવે છે કે, કઠિન ગણાતી ગિરનાર સ્પર્ધામાં વિજેતા બનવા માટે સ્પર્ધકો ખૂબ પરસેવો પાડે છે. આ માટે ખેલાડીઓ અગાઉથી જ તેની તૈયારીઓ પણ શરૂ કરી દેતા હોય છે. ત્યારે ગુજરાત સરકારે ગિરનાર સ્પર્ધામાં વિજેતા બનનાર સ્પર્ધકોની ઇનામી રાશિમાં માતબર વધારો કર્યો છે. જેથી સ્પર્ધકોનો ઉત્સાહક બેવડાશે. સાથે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં વધશે.
ગીરનાર સ્પર્ધામાં છેલ્લા બે વર્ષથી ભાગ લેતા અને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ટોપ -૧૦માં વિજેતા બનેલ મિતલબેન ગુજરાતી કહે છે કે, ગિરનાર સ્પર્ધામાં વિજેતા બનવા માટે સ્પર્ધકો ખૂબ આખરી મહેનત કરતા હોય છે. ત્યારે ગુજરાત સરકારનો ગિરનાર સ્પર્ધાની પુરસ્કાર રકમમાં ખૂબ મોટો વધારો કરવાનો નિર્ણય સ્પર્ધકોને નવો જુસ્સો પૂરો પાડશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓની સંખ્યા પણ વધશે. ઉપરાંત ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા ખેલાડીઓને ગિરનાર સર કરવા માટે પ્રેરક બળ પૂરું પાડશે.
આ સ્પર્ધાની સાથે ગિરનાર અને જૂનાગઢનું મહત્વ પણ વધશે. અહીંયા અન્ય રાજ્યોમાંથી પણ ખેલાડીઓ ભાગ લેવા માટે આવે છે જેથી પ્રવાસનને પણ વેગ મળી શકશે.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા ગિરનાર સ્પર્ધાની ઇનામી રાશિમાં વધારો કરવા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરી હતી. જેના અનુસંધાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની રમતગમતને પ્રોત્સાહન આપવાની નેમ અને રાજ્યના ખેલાડીઓને પોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે ત્વરિત નિર્ણય કર્યો હતો. જેને સ્પર્ધકો વધાવી રહ્યા છે.


