જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સફેદ માખીના જૈવિક નિયંત્રણ માટે જૈવિક કીટક તૈયાર કરવામાં આવી છે. જેનો નાળિયેરીની ખેતી કરતા ખેડૂતોએ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
જૂનાગઢ જિલ્લાના વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી સફેદ માખીને કારણે નાળિયેરીના પાક પર પ્રતિકૂળ અસર જોવા મળેલ છે. સફેદ માખીના નિયંત્રણ માટે જંતુનાશક દવાઓના આડેધડ પ્રયોગથી મધમાખી અને અનેક નાના કીટકોનો નાશ થાય છે. જે આપણા નાળિયેરીના પોલિનેશન માટે ખૂબ ઉપયોગી છે. સફેદ માખીના જૈવિક નિયંત્રણ માટે કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા ક્રાયસોફા નામની એક જૈવિક કીટક તૈયાર કરવામાં આવેલ છે અને તેનું વિતરણ ચાલુ કરવામાં આવેલ છે.
વધુમાં આપેલ નંબર ઉપર વહેલી તકે જૈવીક કીટક નોંધાવી દેવી જેથી સમયસર ક્રાયસોફાની સ્ટ્રીપ મેળવી શકો અને સફેદ માખીને નાબૂદ કરી શકાય. આ માટે દરેક ખેડૂતો જાગૃત બની નોંધણી કરાવે અને તેનો ઉપયોગ કરે તેવી ભલામણ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી જૂનાગઢ દ્વારા કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે અને નોંધણી માટે જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા કીટક શાસ્ત્ર વિભાગ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ફોન નંબર ૦૨૮૫ – ૨૬૭૨૦૮૦/૯૦ પર સંપર્ક કરવો.
