ગીર-સોમનાથ જિલ્લામાં નગરપાલિકા સ્ટેડીયમ, છારા ઝાપા રોડ, કોડીનાર ખાતે ૭૪માં “પ્રજાસત્તાક પર્વ” ની જિલ્લાકક્ષાની ઉજવણી કરાઇ હતી. જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલએ દેશભક્તિસભર માહોલમાં ત્રિરંગાને આન, બાન અને શાન સાથે સલામી આપી હતી. તાલુકાના વિકાસકાર્ય માટે કલેક્ટરશ્રીએ રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલેને અપર્ણ કર્યો હતો.
શિયાળાની સવારે ૯ કલાકે નગરપાલિકા સ્ટેડીયમ, કોડીનારમાં યોજાયેલ કાર્યક્રમમાં ધ્વજવંદન રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી અને કલેકટરશ્રી તેમજ જિલ્લા પોલીસ વડાશ્રી મનોહરસિંહ જાડેજાએ જીપમાં પરેડનું નિરિક્ષણ કર્યું હતું. બાદમાં માર્ચ પાસ્ટનું અને ટેબ્લો નિદર્શન કર્યું હતું.
“પ્રજાસત્તાક પર્વ” ની શુભેચ્છા પાઠવી કલેક્ટરશ્રીએ કહ્યું કે, આજે ૭૪ માં પ્રજાસત્તાક દિનની સમગ્ર દેશમાં આન,બાન અને સાન સાથે ઉજવણી થઈ છે. દેશને મળેલા આ સુવર્ણ પ્રભાતના પાયામાં સ્વાતંત્ર્ય સેનાનીઓનું અમૂલ્ય યોગદાન છે, તો બંધારણના ઘડવૈયાઓએ આપણને નાગરિક તરીકે આપણા અધિકારો અને ફરજો ભેટમાં આપ્યાં છે. એવું કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી કે, આઝાદી માટે બલિદાન આપનાર શહિદોના તપનું મીઠું ફળ આપણે ચાખી રહ્યાં છીએ, વધુમાં જણાવતા કલેક્ટરશ્રીએ કહ્યુ હતુ કે, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે સોમનાથ મંદિરના નવ નિર્માણનો સંકલ્પ સિધ્ધ કર્યો અને આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સાથે નવા ભારતના સપનાને આપણે સાકાર કરવા પ્રતિબદ્ધ છીએ. એક દેશ તરીકે આપણે ઘણી બધી આર્થિક સુધારણાઓ અને સફળતાઓ જોયા છે. આપણો દેશ અનેક ઉતારચડાવનો સાક્ષી બન્યો છે અને હવે ડબલ એન્જિન સરકાર સાથે અવિરત આગળ વધી રહ્યો છે.કોરોનાની મહામારીમાં પણ વહીવટી તંત્રએ ખડેપગે આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડી હતી. આ તમામ કોરોના વોરિયર્સને પણ એમની સેવાઓ માટે બીરદાવું છુ અને શિક્ષણ ક્ષેત્રે આવતી પેઢી વધુ સારી રીતે તૈયાર થાય અને ભણવાની સાથે જ કૌશલ્યગુણો વિકસે તે માટે સમગ્ર જિલ્લામાં ૧૧૬૬ આંગણવાડી કાર્યરત છે જેમાંથી ૧૦૦ કરતા વધુ સ્માર્ટ આંગણવાડીમાં ભારતનું ભવિષ્ય નક્કી કરનાર નાના ઘડવૈયાઓમાં કૌશલ્યવર્ધક ગુણો વિકસાવવામાં આવે તે અનુરૂપ કાર્ય થઈ રહ્યું છે. તેમજ જિલ્લાની વિકાસલક્ષી વાત જણાવતા તેઓશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારના આગવા અભિગમથી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓના આધારે, ગુજરાત સમરસ વિકાસના નવા કિર્તિમાન સ્થાપિત કરવા જઈ રહ્યું છે. ત્યારે વિકાસલક્ષી મહાયજ્ઞમાં ગીર સોમનાથ પણ પોતાની ભાગીદારી નોંધાવી રહ્યું છે તે માટે તેઓશ્રીએ સૈાને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. જેમાં સામુહિક યોગ નિદર્શન, મોર બની થનગનાટ કરે સાહિત્ય રાસ ,દેશ ભક્તિ ગીત,આદિવાસી નૃત્ય સમુહ નૃત્ય ,પિરામિડ કૃતી ,સ્ત્રી શસક્તિકરણ, વાગ્યો રે ઢોલ લોકગીત સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોએ સૈાનાં મન હરી લીધા હતા.
સમાજસેવા માટે પદ્મશ્રી એવોર્ડ સન્માનિત જાંબુરના હીરાબાઈ લોબીને સન્માનિત કરાયા તેમજ અલગ-અલગ કચેરીઓ દ્રારા ટેબ્લોનું નિદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં પ્રથમ નંબરે આઈ સીડીએસ ૧૦૦સ્માર્ટ આંગણવાડી ,બીજા નંબરે જિલ્લા ગ્રામ વિકાસ એજનના પંચસ્તંભ યોજના અને ત્રીજા નંબરે મદદનીશ મત્સ્યદ્યોગ વિભાગના માછીમારોની કલ્યાણકારી યોજના ટેબ્લોની પસંદગી કરવામાં આવી હતી. અને પોલીસ કમાન્ડર પ્લાટુનની -૧ની પ્રથમ નંબરે હોમગાર્ડ પ્લાટુન બીજા અને ત્રીજા નંબર પર એસપીસી પ્લાટુનની પસંદગી થઈ હતી. તેમજ સાંસ્કૃત્તિક કાર્યક્રમમાં પ્રથમ નંબર યોગ નિદર્શન માટે સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણની બહેનોએ બીજા નંબર પર આદિવાસી નૃત્ય કે.જી .બી.વી દેલવાડા બહેનોએ અને ત્રીજા નંબર પર સમુહ નૃત્ય જવાહર વિદ્યાલય કોડીનાર અને શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને કલેક્ટરશ્રીનાં હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કર્યા હતા. તેમજ ચેક વિતરણ કરવામાં આવ્યુ હતુ અને મહાનુભાવો દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ“પ્રજાસત્તાક પર્વ” ની ઉજવણી પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, કોડીનાર ધારાસભ્ય શ્રી પદયુમન વાજા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મતી રામીબહેન વાજા, કોડીનાર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રતાપભાઈ ડોડીયા,કોડીનાર નગરપાલીકા પ્રમુખશ્રી સુભાષભાઈ ડોડીયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભગુભાઈ પરમાર, અધિક કલેકટરશ્રી બી.વી લીબાંસિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી વાય.ડી.શ્રીવાસ્તવ, પ્રાંત અધિકારી ઉના શ્રી જવલંત રાવલ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાહુલ ગમારા, નાયબ કલેકટર શ્રી ભુમિકાબેન વાટલીયા, નાયબ કલેક્ટર શ્રી તુષાર જાની, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પલ્લવીબેન બારૈયા અધિકારીશ્રીઓ પદાધિકારીઓ સહિતના મહાનુભાવો સહભાગી થયા હતા. કોવિડ-૧૯ની ગાઈડ લાઈન સાથે યોજાયેલ આ કાર્યક્રમનું સંચાલન થયેલ હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


