૪૪ માંથી ૪૧ તો ધો.૮ અને ૯ના વિદ્યાર્થીઓ હતા, જેઓ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા નર્મદા મુખ્ય નહેરમાં એ દિવસે વહેલી સવારે એસ.ટી.બસ પેસેન્જરો સહિત જળસમાધી લીધી હતી
તા.૧૬ એપ્રિલ ૨૦૦૮ના રોજ આ દુર્ઘટના સર્જાઈ હતી. બોડેલી ડભોઇ રોડ પર નર્મદા કેનાલમાં વહેલી સવારે ખખડધજ એસ.ટી.બસ બ્રિજ પરથી નર્મદા મુખ્ય નહેરમાં માં ખાબકી હતી.
બસમાં ૪૧ પરીક્ષાર્થીઓ હતા. જેમાં ૩૨ છોકરીઓ અને ૯ છોકરા હતા. બોડેલીની શેઠ શિરોલાવાલા હાઈસ્કૂલના ૧૬, નવજીવન હાઈસ્કૂલના ૨૩ અને મા ભગવતી વિદ્યાલયના બે વિદ્યાર્થીઓ બસમાં સવાર હતા. આ તમામ ધો.૮ અને ૯ના વિદ્યાર્થીઓ હતા. તમામની વાર્ષિક પરીક્ષા બીજે દિવસે પૂર્ણ થવાની હતી. વિદ્યાર્થીઓ સંખેડા અને બોડેલી નજીકના આસપાસના ગામના રહેવાસી હતા. સવારે ૫.૩૦ થી ૬ વાગ્યાની વચ્ચે આવતી એસ.ટી.બસમાં બેસી તેઓ પરીક્ષા આપવા આવતા હતા.
એસટી વિભાગની બસ વાઘબોડથી બોડેલી રૂટ માટે મૂકવામાં આવી હતી. બસમાં ભારે ભીડ થઈ જતા અને રોજ કરતા મોડી પડતાં ડ્રાયવર એ ફૂલસ્પીડમાં દોડાવી હતી. કેટલાક બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓ ઊભા હતા. અને બસ ઊભી રાખવા હાથ બતાવવા છતાં ડ્રાયવરે બસ ઉભી રાખી ન હતી.
બોડેલી થી ૧ કિમી દૂર નર્મદાની મેન કેનાલ પસાર થાય છે. ડ્રાયવરે કેનાલ પરના સાંકડા બ્રિજ પર પણ બસ ફૂલ સ્પીડે દોડાવી હતી. બ્રિજ પરથી તે સમયે એક ટ્રક પસાર થતી હતી. ડ્રાયવરે ઓવરટ્રેક કરવા પ્રયાસ કરતાં બસ જમણી બાજુની બ્રિજની રેલિંગ તોડી કેનાલમાં ખાબકી હતી. આ સાથે જ મરણચીસો ગૂંજી ઊઠી હતી, અને થોડીવારમાં બસે જળ સમાધિક લીધી હતી. બસને ક્રેનથી ઉંચકીને પાણીની બહાર કાઢવામાં આવી હતી. એ પછી ત્રણ ચાર કલાકની શોધખોળના અંતે ૪૪ મૃતદેહ મળ્યા હતા.
જેમાં ૪૧ વિદ્યાર્થીઓ ઉપરાંત ડ્રાયવર, કન્ડકટર વૃધ્ધા રતનબેનનો સમાવેશ થતો હતો.બામરોલી ગામના ૧૪, પાટણા ગામના ૮, સમધી ગામના ૧૦, સાલપુરાના ત્રણ ઉપરાંત લાલપુરા, પોણીયા, ધરોલિયા, સૂર્યાઘોડા, ચામેઠા અને તોતરમાતાના વિદ્યાર્થીઓએ આ બનાવમાં જીવ ગુમાવ્યા હતા.
બોક્સ 2
આજે પણ એ દ્રશ્યો બોડેલી સહિત વિસ્તારના લોકો ભૂલી શકતા નથી.
સામુહિક અંત્યેષ્ટિમાં સળગતી ચિતાઓની આગ હજી પણ ભૂલાતી નથી
આ ઘટનાને રવિવારે 15 વર્ષ પુરા થશે.આ વિસ્તારમાં ખાસ કરીને બોડેલીના લોકોથી આજે પણ બનાવ ભૂલાતો નથી.નર્મદામાં જળ સમાધી લીધેલ એ બસમાંથી કઢાતા બાળકોના મૃતદેહોના દ્રશ્યો, માસૂમ બાળકોના મૃતદેહોથી ભરેલી એ હોસ્પિટલ, બ્રિજ પાસે ઉભરાયેલું બોડેલી સહિત વિસ્તારના લોકોની મેદની, રોકકળ અને આક્રંદના કાળજું કંપાવતા દ્રશ્યો, બાળકોની સામુહિક અંત્યેષ્ટિની એ સળગતી ચિતાઓ હજી મન મસ્તિસ્કમાંથી ભૂંસાયા નથી.
ઈમરાન મન્સૂરી બોડેલી


