રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં ચેકડેમનું લોકાર્પણ અને તળાવના રીનોવેશન કાર્યનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. રૂ.૨૫ લાખના ખર્ચે વાંકિયા ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જયારે રૂ. ૧૬ લાખથી વધુના ખર્ચે ઊંડ નદીના કાંઠે આવેલ તળાવનું રીનોવેશન કાર્ય હાથ ધરવામાં આવશે.
આ પ્રસંગે કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાના ગામડાઓ શહેરથી જોડાય અને ખેડૂતો તેમજ ગામડાના લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે લક્ષ્ય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર કામગીરી કરી રહી છે. જેના પરિણામે છેવડાના ગામડાઓ સુધી વિકાસના ફળ પહોંચ્યા છે. અને લોકોની સુખાકારીમાં વધારો થઈ રહ્યો છે. અત્યારે ચાલી રહેલા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ધ્રોલ તાલુકામાં ૧૪ જેટલા વિકાસ કર્યો હાથ ધરવામાં આવ્યા છે, અને ઘરે ઘરે લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ તકે ગ્રામજનોએ મંત્રીશ્રીનું ઉષ્માભેર સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મનસુખભાઇ ચભાડીયા, ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પોલુભા જાડેજા, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી ખાંટભાઈ, ધ્રોલ માર્કેટિંગ યાર્ડ પ્રમુખ શ્રી દેવકરણ ભાઈ ભાલોડીયા, ગ્રામ સરપંચ શ્રી રમેશભાઈ ભીમાણી, આગેવાનશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


