રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન,મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગામ વિકાસ મંત્રીશ્રી
રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટરશ્રી બી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ
ભારદ્વાજની ઉપસ્થિતમાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા હતા. મંત્રીશ્રીએ
માર્ગ અને મકાન વિભાગના કામો, સુજલામ સુફલામ યોજના, વોટરશેડ યોજના,ક્ષારઅંકુશ,જિલ્લા પંચાયત સિંચાઇ યોજનાના
કામોની સમીક્ષા, સૌની યોજનાનાના પાણી આપવા સંદર્ભેના કામોની સમીક્ષા કરી પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ આવે તે
દિશામાં કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ સાથે જે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તેમાં મુખ્યત્વે ખોજા બેરાજા
ગામે પુલનું કામ, જાંબુડાથી ખીરી રસ્તો મંજૂર કરાવવો, ચાંપા બેરાજથી કનસુમરા ગામ સુધીનો નોન પ્લાન રસ્તો મંજૂર
કરાવવો, ખીલોસથી હાઇવે સુધી રસ્તો બનાવવાની કામગીરીનું સ્ટેટસ,બેડ ગામે સીસી રોડ બનાવવો, ચંગા ગામે પુલના મંજૂર
થયેલ કામોની સ્થિતિ, નાઘેડી ગામે સ્કૂલથી હાઇવે સુધીના રસ્તે સીસી રોડ બનાવવો જેથી ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય,
નવા નાગના તથા જૂના નાગના વચ્ચે બ્રિજ બનાવવાની કામગીરી,સપડા ગણપતિના મંદિરથી હાઇવે સુધી રોડ બનાવવો,
ગામડાઓમાં પેચવર્કના કામો કરવા,દરેડથી મસીતીયા રોડ પર સીસી રોડનું કામ, સચાણાથી સ્ટેટ હાઇવેના રસ્તાના વાઈડનિંગનું
કામ, ખોજા બેરાજા-લોઠીયા જતાં રસ્તા પર માઇનોર બ્રિજ બનાવવા અંગેના કામો વિષે ચર્ચા વિચારણા કરી મંત્રીશ્રીએ જરૂરી
પરામર્શ કરી ચોમાસા પહેલા રોડ રસ્તાના કામો પૂર્ણ કરવા સૂચનો કર્યા હતા.
સિંચાઇ વિભાગના અધિકારીશ્રીઓ સાથે મંત્રીશ્રીએ જે મુદ્દાઓ પર ચર્ચા કરી તેમાં સસોઇ ડેમ અને ફૂલઝર-૧ ડેમની કેનાલની
કામગીરી,સપડા ચેકડેમનું રીપેર વર્ક પૂર્ણ કરવામાં આવ્યું, તળાવો ઊંડા કરવા તેમજ ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે
તે દિશામાં યોગ્ય કામગીરી કરવા જણાવ્યું હતું. ક્ષાર અને અંકુશ વિભાગના કામો જેમાં જોડિયા તાલુકાના દરિયા કાંઠે આવેલ
રેકલેમેશનનો પાળો રીપેર કરાવવો, બાલંભા બંધારા યોજનાનો પાળો રીપેર કરાવવો, ખીમલીયા, જાંબુડા, જૂના મોખાણાં અને
શેખપાટ ગામની બાજુમાં આવેલ ચેકડેમ રીપેર કરાવવાના કામોની માહિતી મેળવી મંત્રીશ્રીએ બાકી કામો ત્વરિત પૂર્ણ થાય તે
દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.
ઊંડ અને જળ સિંચન વિભાગના કામો જેમાં જોડિયા તાલુકાના તરાણા ગામ પાસે આજીનદી પર સિંચાઇ ડેમના પેચિંગનું કામ,
કેનાલોની કામગીરી, પુલિયા બનાવવાની કામગીરી કરવા અંગે મંત્રીશ્રીએ અધિકારીશ્રીઓને જરૂરી પરામર્શ કર્યા હતા.તેમજ
સુજલામ સુફલામ અને અમૃત સરોવર યોજનાની કામગીરીની માહિતી મેળવી યોગ્ય દિશામાં આયોજન હાથ ધરી બાકી કામો
પૂર્ણ કરવા જણાવ્યું હતું.


