સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
છેલ્લા બે દિવસથી સાવરકુંડલા વિસ્તારમાં ભ્રમણ કરે છે. શાળા, કોલેજ, ગ્રામ્ય વિસ્તારોમાં ફરી પર્યાવરણ અને લુપ્ત થઈ રહેલી વિવિધ પક્ષીઓની પ્રજાતિઓને બચાવવા જાગૃતિ અભિયાન પણ ચલાવે છે.
——————————————————————-આ સંદર્ભે સાવરકુંડલા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સતીષ પાંડે, પ્રિયંક પાંધી, કિશન ત્રિવેદી, મંગળુભાઈ મેવાસાવાળા, વિનુભાઈ રાવળ અને પત્રકાર બિપીનભાઈ પાંધી સાથે પણ પર્યાવરણ બચાવ ઝૂંબેશ અંતર્ગત વિશદ ગોષ્ઠી કરતાં જોવા મળ્યા.
———————————————————————
ટ્રાવેલીંગ ઓન વ્હીલ્સનાં કૉન્સેપ્ટ સાથે સમગ્ર ભારત ભ્રમણની યાત્રાએ નીકળેલા વડોદરા શહેરના ડો. રાહુલ ભાગવત દંપતિ આજે ચાર રાજયોમાં ભ્રમણ કરીને સાવરકુંડલા શહેરમાં પધાર્યા છે. સાવરકુંડલા શહેરના પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમીઓ સાથે આ વિસ્તારના પ્રાકૃતિક સંપત્તિ વિશે વિશદ જાણકારી મેળવી આ વિસ્તારની વન્ય સંપદા અને વિવિધ પક્ષીઓની જાણકારી મેળવી હતી. ગતરોજ સાવરકુંડલા શહેરના એમ એલ શેઠ સંકુલના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વિનુભાઈ રાવળના ઘરે ઉતર્યા હતાં. આ સમાચાર સાંભળીને સાવરકુંડલા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સતીષ પાંડે, પ્રિયંક પાંધી, કિશન ત્રિવેદી, પર્યાવરણ પ્રેમી મંગળુભાઈ મેવાસાવાળા, વિનુભાઈ રાવળ, પત્રકાર બિપીનભાઈ પાંધી સમેતની ઉપસ્થિતિમાં પર્યાવરણ લક્ષી વિચાર ગોષ્ઠી કરતાં જોવા મળેલ. આમ તો આ ભાગવત દંપતિ લગભગ ૨૦૦૦૦ કિલોમીટર જેટલો ભારત ભ્રમણ અંતર્ગત પોતાની કારમાં પ્રવાસ કરી ચૂક્યા છે અને હજારો વિદ્યાર્થીઓને વાઈલ્ડ લાઈફ અને વૃક્ષોના મહત્વ તથા પર્યાવરણ સંરક્ષણ અંતર્ગત અનેક શાળા કોલેજોમાં પોતાનું વક્તવ્ય આપી ચૂક્યા છે. પર્યાવરણ બચાવ ઝૂંબેશને તેમની આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ જગતમાં જાગૃતિ લાવવા માટેની તેમની આ ઝૂંબેશ કાબિલે તારીફ છે. પોતે પોતાના પ્રવાસ દરમિયાન વિવિધ ગ્રામ્ય સંસ્કૃતિનો અભ્યાસ પણ કરતાં જોવા મળે છે. પોતે રેસ્ટોરન્ટ કે મોંઘી હોટલને બદલે ધર્મશાળામાં, કોઈ શુભેચ્છકના ઘરે કે પછી પોતાની કારમાં, જરૂર જણાય ત્યાં ટેન્ટ નાખીને નિવાસ કરે છે. અને સાદું ભોજન અને પ્રાકૃતિક વિચાર સાથે સમગ્ર ભારતમાં ભ્રમણ કરવાની મહેચ્છા ધરાવતું આ દંપતિ દેશી વૃક્ષારોપણનું હિમાયતી છે અને લુપ્ત થતી પક્ષીઓની જાતો પ્રત્યે સતત ચિંતિત હોય લોકોને જાગૃત કરવાનો નમ્ર પ્રયાસ કરતું જોવા મળે છે. વિવિધ રાજ્યોમાં ફરતી વખતે થોડીઘણી ભાષાકીય મુશ્કેલીને પણ સતત અભ્યાસ દ્વારા સરળ બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે. આમ તો ડોક્ટર રાહુલ ભાગવત પોતે સંગીત અને સાહિત્ય પ્રેમી છે. પોતે સંગીતમાં ડોકટરેટ કરેલું છે. સંગીત સાથે નાતો ધરાવતા આ દંપતિ પ્રકૃતિ વન વગડો જંગલ ઘૂમીને લૂપ્ત થતી પ્રાણી અને પક્ષીની પ્રજાતિઓનો અભ્યાસ કરી તેની જાળવણી અને અસ્તિત્વ ટકાવવા માટે લોકોએ શું કરવું જોઈએ એ પણ પોતાના પ્રવચનમાં સમજાવે છે. આમ આ મહારાષ્ટ્રીયન દંપતિએ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને પણ પોતાના વક્તવ્ય દ્વારા ભરપૂર જ્ઞાન પિરસતાં પણ જોવા મળે છે.આમ પર્યાવરણની જાળવણી માટેની તેમનું આ જાગૃતિ અભિયાન સાંપ્રત ગ્લોબલ વોર્મિંગના યુગમાં ખરેખર પ્રશંસનીય છે.

