અસ્થીવિષયક, શ્રવણમંદ, પ્રજ્ઞાચક્ષુ, મનોદિવ્યાંગ સહિતના દિવ્યાંગ સમુદાયને સમાજની
મુખ્ય ધારામાં સમાવિષ્ટ કરવા અને તેમના હક અધિકારો વિષે માહિતગાર કરવા માટે જિલ્લા કાનૂની સેવા સતા મંડળ
અને આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગર દ્વારા 'દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર- 2023'
ગત તા. 05 માર્ચના રોજ યોજાઈ હતી.
આ નિઃશુલ્ક શિબિરમાં જામનગર દિવ્યાંગ સમાજ પ્રમુખ શ્રી સત્તારભાઈએ દિવ્યાંગ સમુદાયોને મળતા હક્ક-
અધિકારો વિષે માહિતી આપી હતી. અંત્યોદય યોજના તળે પાત્રતા ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓને આ યોજના અંગે
સરળ ભાષામાં સમજણ પુરી પાડી હતી. આગામી તા. 16 થી 20 માર્ચ દરમિયાન મહારાષ્ટ્રના પુના ખાતે 21 મી
નેશનલ પેરા એથેલેટિક્સ 2022- 23 નું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે આ સ્પર્ધામાં લાંબી કૂદ અને ગોળા ફેંક
ઝોનમાં ભાગ લેનારા જામનગરના દિવ્યાંગ ખેલાડી શ્રી ચંદ્રેશભાઇ બગડા, શ્રી શિવદાસ ગુજરીયા અને શ્રીમતી
ભારતીબેન રાઠોડનું દિવ્યાંગ સમિતિના સદસ્યો દ્વારા શાલ- કેપ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
તેમજ, તાજેતરમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા આયોજિત પત્ર લેખન સ્પર્ધામાં રાજ્ય સ્તરે તૃતીય ક્રમાંકે વિજેતા
બનેલી શહેરની દીકરી રીનાબેન સાંગાણીનું પણ સદસ્યો દ્વારા સન્માન કરવમાં આવ્યું હતું. કાર્યક્મમાં નિવૃત્ત નાયબ
મામલતદાર શ્રી વિજયભાઈ વોરા, દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિના પ્રમુખ શ્રી પ્રફુલાબેન મંગે, અરબ યંગ
ફાઉન્ડેશન જામનગરના હાજી અબ્દુલકાર મસ્કતી, દિવ્યાંગ કાર્યકર શ્રી શીતલબેન સાંગાણી તેમજ દિવ્યાંગ બાળકોના
વાલીઓ ઉપસ્થિત રહયા હતા.
ઉપરોક્ત શિબિરને સફળ બનાવવા માટે ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી આર.જે. પાલેજા, દિવ્યાંગ કાર્યકર શ્રી રિયાબેન ચિતારા,
શ્રી જાયણીબેન મોઢા, શ્રી બિપીનભાઈ અમૃતિયા, શ્રી દીપકભાઈ સંચાણીયા, શ્રી હિરેનભાઈ ગોહેલ અને શ્રી
પુષ્પાબેન વોરાએ જહેમત ઉઠાવી હતી. તેમ જામનગર દિવ્યાંગ સમાજ પ્રમુખ શ્રી સત્તારભાઈ એમ. દરદાજાની
યાદીમાં જણાવવામાં આવ્યું છે.


