જૂનાગઢ જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ધોરણ ૧ માં પ્રવેશ મેળવવા માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લાની ૪૦૦ જેટલી ખાનગી શાળામાં ૧૬૮૪ જગ્યામાં નબળા અને વંચિત જૂથના બાળકોને નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માટે પ્રવેશ મળશે.
બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણના અધિકારની કલમ ૧૨(૧) C હેઠળ અંતર્ગત નબળા અને વંચિત જૂથોના બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. જે મુજબ જૂનાગઢમાં નબળા અને વંચિત જૂથોના બાળકોને ૨૫ ટકા મુજબ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ માં જૂન-૨૦૨૩ થી વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.
જે બાળકોને ૧ જુન ૨૦૨૩ ના રોજ છ વર્ષ પૂર્ણ થતા હોય અને ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૧ માં અભ્યાસ ન કરેલો હોય તે આ યોજના હેઠળ પ્રવેશપાત્ર બને છે. આરટીઈ એક્ટ હેઠળ પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી https://rte.orpgujarat.com વેબસાઈટ પર તારીખ ૧૦/૪/૨૦૨૩ થી તારીખ ૨૨/૪/૨૦૨૩ દરમિયાન ફોર્મ ભરી શકશે. આ અંગેની જરૂરી વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માં જૂનાગઢ જિલ્લાની અંદાજે ૪૦૦ જેટલી ખાનગી પ્રાથમિક શાળામાં ૨૫ ટકા મુજબ ૧૬૮૪ જેટલી જગ્યા ઉપલબ્ધ છે. આ પ્રવેશ બાબતે વાલીઓને માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા શિક્ષણ સમિતિ જૂનાગઢ ખાતે હેલ્પ સેન્ટર અને હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. જિલ્લા હેલ્પ લાઈન નંબર ૦૨૮૫- ૨૯૯૦૪૫ પર સંપર્ક કરવા જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
