Gujarat

શ્રીમદ ભાગવત કથાના કલ્યાણકારી બોધને જીવનમાં ઉતારીએ -મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રીમદ ભાગવત કથાના કલ્યાણકારી બોધને જીવનમાં ઉતારવા સાથે શ્રીમદ ભાગવત કથાના સારરૂપ ગુણો- ધૈર્ય, સહનશક્તિ, પ્રેમ, કરુણા, દયા વગેરે જીવનમાં ચરિતાર્થ કરવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે વડીલોના વૃંદાવન અને ગૌશાળાના શુભારંભના લાભાર્થે આયોજીત શ્રીમદ ભાગવત કથા પ્રસંગે સંબોધન કરી રહ્યા હતાં.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, રાજસત્તાને ધર્મસત્તાના આશીર્વાદ હંમેશા મળતા રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ ઉપર જનતાનો વિશ્વાસ કાયમ અકબંધ છે તે ગુજરાતની જનતાએ આ ચૂંટણીમાં પ્રચંડ વિજય અપાવીને પ્રસ્થાપિત કર્યું છે. આ વિશ્વાસને વિકાસના વિશ્વાસ સાથે જાેડીને વધુ મજબૂત અને તેજ ગતિએ ગુજરાતને આગળ ધપાવવું છે.
તેમણે કહ્યું કે, ટીમ-ગુજરાત વડાપ્રધાનએ આપેલા મંત્ર ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ’ થકી વિકસિત ભારત, વિકસિત ગુજરાત બનાવવા મક્કમ ગતિએ કામ કરી રહી છે.
તેમણે ઉમેર્યું કે, અહીં ગૌશાળાનું નિર્માણ સેવાકીય ભાવ સાથે થયું છે અને જયંતિભાઈ પાટીદાર પરિવાર દ્વારા ધર્મ સાથે સંસ્કૃતિના સંવર્ધનનું પણ કામ થયું છે, તે અભિનંદન પાત્ર છે.
આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ધામડી જેવા નાના ગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વ્યસ્તતા વચ્ચે પધાર્યા છે. તેઓ સવારે કેનેડા, ડેલિગેશનને મળીને સીધા જ ગૌસેવાના પવિત્ર કાર્ય માટે અહીં પધાર્યા છે. તમારો પ્રેમ સ્નેહ વ્યાસપીઠના સંત શ્યામ સુંદર મહારાજ વર્ષો જુના સંત દોલતરામ મહારાજ, મહેન્દ્ર મહારાજના સેવા કાર્યો અહીં અમને ખેંચી લાવ્યા છે.
આ પ્રસંગે ઇડરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રમણલાલ વોરાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે જયંતિભાઇ પટેલના વડીલોની વંદના અને સત્સંગ, બહેનો માટે ભજન મંડળ ધામડી અને આસપાસના વિસ્તારમાં ગૌસેવા પ્રવૃત્તિને વેગ મળ્યો છે. આજે અહીં ગૌશાળાનું લોકાર્પણ થયું છે. તેનાથી ગૌમાતાની સેવા આગળ ધપશે અને સેવાથી સુવાસ પથરાશે તેવો મને વિશ્વાસ છે. અહીં ૮૦ લાખનું માતબર દાન ગૌશાળાને સાપડ્યું છે. સૌ દાતાઓનો પણ આભાર વ્યક્ત કરું છું કથા વક્તા તરફથી પણ ગૌ શાળાના વિકાસ માટે દાનની જાહેરાતને હર્ષભેર વધાવી લીધી હતી.
આ પ્રસંગે આયોજક જયંતિભાઈ પટેલે સૌને આવકારી શ્રીમદ ભાગવત કથા અને ગૌશાળા તથા વડીલોની વંદના કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે ભાજપા સંગઠનના પ્રમુખ જે.ડી. પટેલ,તખતસિંહ હડિયોલ,રાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોરે પ્રસંગિક પ્રવચન કરી ધર્મ અને સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. કથા શ્રવણ કરનાર ધર્મપ્રેમી જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં આ ભાગવત કથા સપ્તાહના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં મંત્રી ભીખુસિંહ પરમાર, રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર, હિંમતનગર ધારાસભ્ય વી.ડી ઝાલા, કથા વક્તા શ્યામ સુંદર મહારાજ, દોલતરામ મહારાજ અને સંતો મહંતો અને મહાનુભાવો સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
આ ઉપરાંત સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, પૂર્વ ચેરમેન જેઠાભાઈ પટેલ, વડાલી એ.પી.એમ.સી.ના ચેરમેન વિજયભાઈ પટેલ, ઇડરના એ.પી.એમ.સી.ના ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, સંગઠનના મહામંત્રી વિજયભાઈ પંડ્યા, કનુભાઈ પટેલ, સંગઠન પ્રભારી રેખાબેન ચૌધરી, સહકારી અગ્રણીઓ, ધાર્મિક સંતો તથા જિલ્લા કલેકટર હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી દિપેશ શાહ, જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલા તથા વડાલી, ઈડર, ખેડબ્રહ્મા અને આસપાસના ગામજનો ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *