સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
અંતે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાની પક્ષી બચાવો અભિયાન સંદર્ભે કરેલી અથાગ મહેનત રંગ લાવી ખરી. રાજ્ય મંત્રી વન પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ દ્વારા સમગ્ર રાજયમાં તા. ૧૦ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી સુધી પક્ષી બચાવો ઝુંબેશ માટે કરુણા અભિયાન હાથ ધરવામાં આવેલ. આ સંદર્ભે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાની સમગ્ર ટીમ ટ્રસ્ટના પ્રમુખ સતીષ પાંડેનાં માર્ગદર્શન હેઠળ પતંગની દોરીથી ઘાયલ થયેલ અનેક પક્ષીઓને બચાવી તેને સારવાર અપાવી અને આમ સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન દરમિયાન કુલ ૧૩૬૬૬ થી વધુ પક્ષીઓને સારવાર આપી બચાવી શકયા. આ સંદર્ભે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાની આ પક્ષી બચાવો ઝુંબેશની તંત્ર દ્વારા નોંધ લેવામાં આવી અને સમગ્ર રાજ્યમાં અનેક સંસ્થાઓ પૈકી આ સંસ્થાની પ્રવૃત્તિને રાજય મંત્રી વન પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ દ્વારા અમરેલી કલેકટર દ્વારા કોવિડ ગાઈડલાઈનનાં નિયમોનું પાલન કરીને જાહેર સન્માન કરવામાં આવેલ.
આ સમાચાર સાંભળીને સમગ્ર વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટનાં સભ્યોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. આમ પર્યાવરણ અને જીવદયા ક્ષેત્રે સાવરકુંડલા શહેરનું આ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટને ગૌરવાન્વિત કરેલ છે.


