સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં છેલ્લા ઘણાં સમયથી શબદ ગ્રુપ દ્વારા શહેરની વાટલિયા પ્રજાપતિ બોર્ડીંગમાં દર મહિનાના બીજા અને ચોથા રવિવારે સાંજે પાંચ થી સાત વાગ્યા સુધી અમૃત પિયાલા શૃંખલા અંતર્ગત પુસ્તક વાંચનની તથા પુસ્તકો વાંચવા માટે ઘરે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ તો લોકોની પુસ્તક વાંચન પ્રત્યેની રુચિ વધે અને સારા પુસ્તકો વિના મૂલ્યે વાંચવા મળી રહે તે ઉદ્દેશ સાથે આ અભિયાન શરૂ કરવામાં આવેલ. એટલે પુસ્તક વાંચનનો શોખ ધરાવતા લોકો આ સ્થળે મુલાકાત લેતાં હોય છે અને વિવિધ પ્રકારના પુસ્તક વાંચનનો લાભ લેતાં જોવા મળે છે. પરંતુ નોંધનીય બાબત તો એ છે કે માત્ર સાત વર્ષની વય ધરાવતાં સાવરકુંડલા શહેરના સિનિયર પત્રકાર બિપીનભાઈ પાંધીની દોહિત્રી જૈનીબેન બનજારા પણ હવે પોતાના પિતાશ્રી જતીનભાઈ બનજારા સાથે આ વાંચનાલયની મુલાકાત લે છે. અને પોતાને ગમતાં સાહિત્યનું વાંચન કરવા પ્રયત્ન કરે છે. જૈનીબેન ખૂબ જ નાની ઉંમરે સંગીતનો ગજબનો શોખ ધરાવે છે અને હાર્મોનિયમ સાથે તેણી વિવિધ ગીતો પોતાના મધુર સ્વરમાં સૂર અને લય સાથે ગાતાં પણ જોવા મળે છે તેના ઘણાં વિડિયો પણ વાયરલ થયેલ છે.. નાનપણથી જ વિવિધ વિષયોની જાણકારી મેળવવી એ તેનો જાણે શોખ જ ગણી શકાય. અભ્યાસમાં પણ કુશાગ્ર બુદ્ધિ અને કૌશલ્ય ધરાવતા જૈનીબેન હાલ તો સાવરકુંડલાની સુપ્રસિદ્ધ શાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક વિદ્યાલયમાં બીજા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ ભવિષ્યમાં સંગીત અને સાહિત્ય ક્ષેત્રે નોંધનીય પ્રગતિ કરે તેવું પ્રારંભિક તબક્કે જણાઈ રહ્યું છે.


