સુરત
સુરત શહેરના ન્યુ સીટી લાઈટ ખાતે આવેલા સ્લમ વિસ્તારમાં રોજ સાંજે હનુમાન ચાલીસા અને શાસ્ત્રોના શ્લોકોનો આવાજ દૂર સુધી સંભળાય છે અને આ અવાજ નાના નાના બાળકોનો હોય છે. ભક્તિમય વાતાવરણના કારણે આસપાસના લોકો પણ અહીં જાેવા માટે આવી જાય છે. બાળકોમાં સનાતન સંસ્કૃતિ અંગે જાણકારી મળી રહે આ માટે ૫૫ વર્ષીય હોમ મેકર મંજુ મિત્તલ દ્વારા આ ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મંજુ મિત્તલ રોજ સુરત શહેરના સ્લમ વિસ્તાર ગણાતા ઇડબલ્યુએસ આવાસમાં જાય છે અને ત્યાં ૫ વર્ષથી લઈ ૧૩ વર્ષના બાળકોને એકઠા કરી તેમને અલગ અલગ શ્લોકોના પાઠ કરાવે છે. એટલું જ નહીં તેઓ રોજ બાળકોને હનુમાન ચાલીસાના પાઠ કરાવે છે, જેથી આ બાળકોને હવે અનેક શ્લોકો અને હનુમાન ચાલીસા કંઠસ્થ થઈ ગયા છે. બાળકો પણ સમયસર મંજુ મિતલ આવે તે પહેલા એકત્ર થઈ જાય છે. અને બાળકો અને લોકો ક્યારે હનુમાન ચાલીસાનો પાઠ શરૂ થાય તેની રાહ જાેતા હોય છે. જ્યારે મંજુ મિત્તલ દ્વારા શાસ્ત્રોના શ્લોકોનો પાઠ કરવામાં આવે છે, ત્યારે તેમની સાથે આ બાળકો પણ શ્લોકો સાથે સાથ બોલતા હોય છે.


