ગીર-સોમનાથ
ગીર-સોમનાથ જિલ્લાના ઉનાના મોટા ડેસર ગામે લંપટ શિક્ષકની શરમજનક કરતૂત સામે આવી છે. શિક્ષક એટલે કે જેને ગુરુનું સ્થાન અપાયું છે. પરંતુ અહીં તો ગુરુ જ હેવાન બની ગયો હોય એમ શિક્ષણના ધામને કલંક લગાવતી ઘટના સામે આવી છે. સરકારી કન્યા શાળાના શિક્ષક કમલેશ રાઠોડ પર વિદ્યાર્થિનીઓની જાતિય સતામણી કરવાનો આરોપ છે. શિક્ષકે વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કરતા ગ્રામજનોએ સરપંચ અને તાલુકા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી. તાલુકા શિક્ષણ અધિકારીને ફરિયાદ મળતા શાળામાં જઈને તપાસ કરી હતી. વિદ્યાર્થિનીઓ માટે શાળામાં રખાયેલા ફરિયાદ બોક્સમાંથી પણ શિક્ષક વિરુદ્ધની ચિઠ્ઠીઓ મળી આવી હતી. શાળામાં વિદ્યાર્થિનીઓ અને અન્ય શિક્ષકના નિવેદન નોંધી તપાસ હાથ ધરવામાં આવી. હાલ આરોપી શિક્ષકની અન્ય સ્થળે બદલી કરી દેવામાં આવી છે. અને સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરાઈ છે. આ બાબતે તાલુકા શિક્ષણાધિકારીએ કહ્યું કે આ ઘટના શરમજનક ઘટના છે. અને આ શિક્ષક પર શિક્ષાત્મક પગલાં ભરવા જિલ્લા કક્ષાએ રિપોર્ટ કરાયો છે.


