આઝાદી અમૃત મહોત્સવ અન્વયે હર ઘર તિરંગા અને મારી માટી મારો દેશ અભિયાન યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે જૂનાગઢમાં તારીખ ૧૪ ઓગસ્ટના બહાઉદ્દીન કોલેજથી કૃષિ યુનિવર્સિટી સુધી ત્રિરંગા યાત્રા યોજાશે.
આગામી તા.૧૪ ઓગસ્ટના રોજ યોજાનાર ત્રિરંગા યાત્રાના સુચારું આયોજન અંગે આજરોજ કલેક્ટર કચેરીના મુખ્ય સભાખંડ ખાતે કલેકટર શ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ રેલીના રૂટ, રેલીના પ્રસ્થાન સ્થળ પરની આનુસંગિક વ્યવસ્થાઓ, રેલીના મુખ્ય કાર્યક્રમ સ્થળ પર યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની બાબતે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી તન્ના, અધિક કલેક્ટર શ્રી પી.જી.પટેલ, જૂનાગઢ પ્રાંત અધિકારી શ્રી ભૂમિ કેશવાલા, પુરવઠા અધિકારી શ્રી ચૌધરી તેમજ શિક્ષણ, આરોગ્ય, આરટીઓ, માર્ગ અને મકાન સહિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૪ ઓગસ્ટના રોજ બહાઉદ્દીન કોલેજથી કૃષિ યુનિવર્સિટી સુધી ત્રિરંગા યાત્રા યોજાશે. ત્યારબાદ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે.
