રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા કે જેમને રાજ્ય સરકારે સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે જુનાગઢ જિલ્લાની દેખરેખ રાખવા માટે જવાબદારી સોંપી છે. તેઓશ્રી સહકાર મંત્રી હોવાના નાતે સાવજ ડેરી એટલે કે, સાવજ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ના વિકાસને નવી ઉંચાઈ પર લઈ જવા માટે સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારિયા, જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ અને સાવજ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિશ્વનાથ નલવડે સાથે બેઠક કરી હતી.
આ બેઠકમાં મંત્રીશ્રીએ પશુપાલકો અને દૂધ ઉત્પાદક મંડળીઓ પાસેથી દૂધ કલેક્શન વધારવા માટે પ્રોત્સાહન યોજના અમલમાં મૂકવા માટે માર્ગદર્શન આપ્યુ હતુ. તેમજ ઉત્પાદન ખર્ચ ઘટાડીને સાવજ ડેરીનો નફો વધે તે માટે પણ જરુરી સૂચનો કર્યા હતા.
મંત્રીશ્રીએ સાવજ ડેરીના પ્લાન્ટની મુલાકાત લઇ, દૂધ ઉત્પાદનોની બનાવટોની ટેકનોલોજીનું પણ નિરીક્ષણ કર્યું હતું.
