નારી વંદન ઉત્સવના બીજા દિવસે બેટી બચાવો, બેટી પઢાવોના દિવસે નવતર ઉપક્રમના ભાગરૂપે કોફી વિથ કલેકટર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ વિદ્યાર્થીનીઓ સાથે સીધો સંવાદ સાધી, તેમને શિક્ષણ ક્ષેત્રે આગળ વધી સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપી હતી.
કલેકટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્ર, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા પ્રાથમિક શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ વિશિષ્ટ કાર્યક્રમમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, આજે મહિલાઓ સર્વોચ્ચ સ્થાને પહોંચી છે. UPSC, બોર્ડ વગેરે પરીક્ષામાં પણ દીકરીઓએ ટોચનું સ્થાન મેળવ્યું છે. આજે ખૂબ હરીફાઈ વચ્ચે પણ દીકરીઓએ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે. આજે દેશના સર્વોચ્ચ સ્થાને એટલે કે, પદે રાષ્ટ્રપતિ પદે પણ એક મહિલા છે. દીકરીઓ આઈએસ-આઈપીએસ બનવાની સાથે વૈજ્ઞાનિક બનીને ઈસરો જેવી સંસ્થાઓનાં માધ્યમથી દેશની સેવા કરી રહી છે.
આજે ઈન્ટરનેટ અને ડિજિટલ મીડિયાના માધ્યમથી જ્ઞાન ભંડાર ખુલી ગયા છે. જેથી દુનિયાની કોઈપણ માહિતી પ્રાપ્ત કરી શકાય છે, સાથે જ કોઈ પણ કૌશલ્ય પણ શીખી શકાય છે.
કલેક્ટરશ્રીએ ખાસ કરીને ગરીબ વર્ગની દીકરીઓને શિક્ષણ સાથે જોડવા માટે પણ ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને અનુરોધ કર્યો હતો. ઉપરાંત શિક્ષકોને દીકરીઓને માસિક ધર્મ-હાઈજિન વિશે સમજ આપવા અને કુદરતી પ્રક્રિયાથી દીકરીઓ ડરે નહીં તે માટે સમજ આપવા પણ શિક્ષકોને જણાવ્યું હતું. માસિક ધર્મના કારણે શિક્ષણ કાર્ય અટકે નહીં અને આરોગ્ય સંબંધિત તકેદારી માટે માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટરશ્રીએ અન્યાયનો પ્રતિકાર કરવા અને હેરાનગતિ કરનારા તત્વો સામે હિંમતભેર સામનો કરવા માટે પણ વિદ્યાર્થીનીઓને પ્રેરિત કરી હતી.સાથે જ ઓનલાઇન થતા ફ્રોડ અંગે વિદ્યાર્થીઓને સચેત કરી હતી.
આ તકે વણઝારી પે.સેન્ટર શાળા, કન્યા શાળા નં.૩, કે.જી. બી.વી.-કેરાળા અને સાબલપુર તથા દોલતપરા પ્રાથમિક શાળાની ધોરણ ૬,૭ અને ૮ની વિદ્યાર્થીનીઓએ જુદા-જુદા પ્રશ્નો રજૂ કર્યા હતા તેના કલેક્ટરશ્રીએ પ્રત્યુતર પાઠવ્યા હતા.
આ વિશિષ્ટ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર શ્રી પી. જી. પટેલ, ડીવાયએસપી શ્રી પટણી, નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રમેશ જેઠવા, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી શ્રી એમ.જી. વારસુર (શહેર) તથા શ્રી બી.ડી. ભાડ (ગ્રામ્ય ) અને વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
