રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી
રાઘવજીભાઈ પટેલે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના રોડ-રસ્તાને લગતા પ્રશ્નોના નિવારણ માટે જિલ્લા કલેક્ટર શ્રી
બી.એ.શાહ તેમજ ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જી.એસ.આર.ડી.સી.)ના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી
જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.
મંત્રીશ્રીએ આ તકે જામનગર તાલુકાના મોરકંડા ગામે રોડ પર ડિવાઈડર મુકવા, ધ્રોલ ખાતે બિનખેતી થયેલ પ્લોટો માટે
અવરજવરના રસ્તાઓ અંગે કાર્યવાહી હાથ ધરવા, જી.એમ.કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓના માર્ગ પર આવતા અંડર ગ્રાઉન્ડ
પુલને વ્યવસ્થિત કરવા, ધ્રોલ રાજકોટ હાઇવે પર જરૂરી ડિવાઈડરો મુકવા, જાંબુડા પાટીયા પાસે અવરજવર થતા વાહનોની
સ્પીડ ઓછી કરવા અંગે જરૂરી કાર્યવાહી કરવા, જામનગર બાયપાસ પર લાલપુર ચોકડી પાસે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સ્પેશિયલ
સ્પીડ બ્રેકર મુકવા, જામનગરથી સિક્કા વચ્ચે લાખાબાવળના પાટીયા પાસે ડિવાઈડર કાયદેસર કરવા, ધ્રોલ એપીએમસી પાસે
ટ્રાફિક નિવારણ કરવા જરૂરી પગલાં લેવા, ભાદરા પાસે બ્રિજનું કામ પૂર્ણ કરવા વગેરે જેવી લોકોની રજૂઆતો તથા પ્રશ્નો અંગે
લગત અધિકારીશ્રીઓ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી અને સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહ, અધિક કલેક્ટર શ્રી બી.એન.ખેર કાર્યપાલક શ્રી સ્ટેટ તથા પંચાયત,
જીએસઆરડીસી ના અધિકારીશ્રીઓ, વિવિધ ગામોના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


