Gujarat

અમરેલી બ્રોડગેજ આંદોલન સ્વયંભૂ રણશિંગું.. લોકમાંગનો વિસ્ફોટ. હવે પાર્થ ને કહો ચડાવે બાણ.. ફરી એ જ ગાંડીવ તણો ટંકાર….

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આમ તો લોકતંત્રમાં લોકોએ ચૂંટેલાં પ્રતિનિધિઓ દ્વારા લોકમાંગનો પ્રતિધ્વનિ પ્રદર્શિત થતો હોય છે. પરંતુ હવે લોકો પણ રાજકીય નેતાઓનાં કથન કવન અને અમલીકરણની ભાવનાથી થાકી ગયા હોય સ્વયંભૂ લોકજુવાળ જાગૃત થયો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે.
——————————————————————–
અમરેલી બ્રોડગેજ આંદોલન સ્વયંભૂ લોકમાંગનો પ્રારંભ થતાં એક વાત પણ લગભગ દિવા જેવી સ્પષ્ટ લાગે છે અમરેલી જિલ્લાની જનતાને હવે  રાજકીય નેતાગીરી પર ( આ માંગપૂર્તિ કાજે) વિશ્વાસ ન  રહ્યો હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આમ ગણો તો અમરેલી જિલ્લાએ ભાજપ અને કોંગ્રેસના અનેક ધુરંધર નેતાઓને સમયાંતરે સંસદમાં ચૂંટીને મોકલ્યા. આમાંના ઘણાંએ સંસદમાં મહત્ત્વપૂર્ણ પદ પણ પ્રાપ્ત કરેલ .  દેશ આઝાદ થયો તેને પોણી સદી વિતવા છતાં અમરેલી શહેર અને જિલ્લાનો ઘણો વિસ્તાર બ્રોડગેજની સુવિધાથી વંચિત છે એ વાત પણ જનમાનસને ખટકે તો ખરી જ અને અમરેલી જિલ્લા માટે એ કરુણાજનક બાબત પણ હોય તેવું પણ લોકોને લાગતું હશે. કદાચ એટલે જ કોઈ પણ પક્ષાપક્ષીનાં રાજકારણ વગર સોશ્યલ મિડિયાનાં માધ્યમથી લોકમાંગનો સૂર વ્યક્ત થયો અને જોતજોતામાં એ લોકમાંગને જિલ્લાનાં મોટાભાગના વિસ્તારોમાંથી સમર્થન પ્રાપ્ત થયું. જો કે ખાલી ડીઝીટલ કે સોશ્યલ મિડિયા દ્વારા આ અવાજ સંસદનાં પ્લેટફોર્મ સુધી પહોંચશે કે કેમ એ યક્ષપ્રશ્ન છે.?? પરંતુ લોકશાહીમાં લોકમિજાજને વ્યક્ત કરવાનું સોશ્યલ મિડિયા એ પ્રથમ પ્રબળ અને અસરકારક પગથિયું તો છે. એ નિમિત્તે ઘણાં લોકો અમરેલી ખાતે એકઠાં પણ થયાં અને તેમની માંગ સંદભે તંત્રને આવેદનપત્ર પાઠવી પોતાનો લોકમત વ્યક્ત કર્યો છે. હવે જરૂર છે ગ્રાઉન્ડ રિયાલીટી માટે આ સંદર્ભે જે યોગ્ય અને જરૂરી લાગે તે લોકતંત્રના મૂલ્યોને લક્ષમાં રાખીને કાર્યક્રમો કરવાની. જેમાં લોકતંત્રિક ઢબે જે પણ કરવું પડે તે માટે પ્રતિબદ્ધતા દર્શાવવી પડશે. કદાચ તો અમરેલીને બ્રોડગેજ સુવિધા વહેલી ઉપલબ્ધ થાય એવું ઈચ્છીએ. અંતે તો લોકતંત્રમાં લોકોનો મત જ સર્વોપરી હોય છે.. આગળ સમય બતાવે તે.
–પ્રસ્તુતિ હર્ષદભાઈ જોશી બિપીનભાઈ પાંધી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *