અમદાવાદ
અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત બિપરજાેય ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે વાવાઝોડાનું લેન્ડફોલ થયું. મધરાત સુધી વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા ચાલી. આ દરમિયાન પવનની ગતિ ૧૨૦ થી ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. આ તોફાન સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈ ચૂક્યું છે. છેલ્લા ૬ કલાક દરમિયાન ૧૩ કિમી પ્રતિકલાકની ઝડપે ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે. વાવાઝોડું જખૌ બંદરથી લગભગ ૪૦ કિમી ઉત્તરપૂર્વ તરફ દૂર ગયું અને નલિયાથી ૩૦ કિમી ઉત્તરે દૂર આગળ વધ્યું છે. હવે સમગ્ર ઉત્તર ગુજરાતમાં લગભગ ઉત્તર પૂર્વ તરફ આગળ વધે અને ધીમે-ધીમે નબળું પડે તેવી શક્યતા છે. દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થયા બાદ વાવાઝોડાનો અંત આવે તેવી શક્યતા છે. વાવાઝોડું સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થશે અને ત્યારબાદ પવનની ગતિમાં ઘટાડો થશે. આજે સાંજ સુધીમાં હવાની ગતિમાં વધુ ઘટાડો થઇ જશે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં મકાનોના છાપરા ઉડવાની તેમજ વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થવાની ઘટના બની છે. તો કચ્છ અને દ્વારકાના અનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો.


