ખેડા જિલ્લાના કુલ ૩૧,૯૧૫ ખેડૂતો, શિક્ષકો, ખેડૂત ટ્રેનર અને આત્માના અધિકારીઓએ લાઈવ પરિસંવાદ નિહાળ્યો
***
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને તા. ૨૫ જુલાઇ ૨૦૨૩ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે બાઇસેગના માધ્યમથી “પ્રાકૃતિક કૃષિ” વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ હતું. ખેડા જિલ્લાના ખેડૂતો, યુવાનો, ગ્રામ સેવકો, વિસ્તરણ અધિકારીઓ, પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ ખેતી, બાગાયત વિભાગ, સહકાર વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ જિલ્લાની ગ્રામ પંચાયતો અને શાળાઓ ખાતેથી આ પરિસંવાદમાં સહભાગી થયા હતા.
ખેડા જિલ્લાની કુલ ૫૧૬ ગ્રામ પંચાયત અને કુલ ૧૩૭૦ પ્રાથમિક શાળાઓ ખાતેથી કુલ ૩૧,૯૧૫ લોકો “પ્રાકૃતિક કૃષિ” પરિસંવાદમાં સહભાગી થયા હતા.
પરિસંવાદ અંતર્ગત રાજ્યપાલશ્રીએ રાજ્યભરના ખેડૂતો, શિક્ષકો, ખેડૂત ટ્રેનર અને આત્માના અધિકારીઓને પ્રાકૃતિક કૃષિ બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ચાલુ ખરીફ ઋતુમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં કઇ બાબતોમાં વિશેષ ધ્યાન આપવું જોઈએ, તે બાબતે રાજ્યપાલે સંબોધન કર્યું હતું.
આ પરિસંવાદ અંગે જણાવતા આત્મા (ATMA- Agricultural Technology Management Agency) પ્રોજેકટ ડાયરેકટર શ્રી જે. એચ. સુથારે જણાવ્યું હતું કે, ખેડા જિલ્લાના વધુને વધુ ખેડૂતો અને યુવાનો પ્રાકૃતિક ખેતીમાં જોડાય અને પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ વધે તેવા પ્રયાસો આત્મા તેમજ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.


