ગાંધીનગર
ગાંધીનગર જિલ્લાની પાંચ શાળામાં આચાર્ય માટે નિમણુંક પામેલા ઉમેદવારોને શિક્ષણ મંત્રી ર્ડા. કુબેરભાઇ ડીંડોરના હસ્તે નિમણુક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. રાજયની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળઓમાં આચાર્ય માટેની ભરતી – ૨૦૨૩ અન્વયે તા. ૦૧ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ ગાંધીનગર જિલ્લાની ૭૩ શાળાઓ પૈકી આઠ શાળાઓમાં આચાર્યની નિમણુક કરવા માટે ઇન્ટવ્યુ ગોઠવવામાં આવ્યા હતા. આધારશિલા હાઇસ્કુલ, વલાદ ખાતે ઇન્ટવ્યુ રાખવામાં આવ્યા હતા. આઠ શાળાના આચાર્યશ્રીઓની પસંદગી માટે યોજાયેલ ઇન્ટવ્યુમાં પાંચ ઉમેદવારોની આચાર્ય પદ માટે પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા આચાર્યશ્રીઓને નિમણુંક પત્ર વિતરણ સમારંભ શિક્ષણ મંત્રી શ્રી ર્ડા. કુબેરભાઇ ડીંડોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો. પસંદગી પામેલા આચાર્યશ્રીઓને શિક્ષણમંત્રીશ્રીના હસ્તે નિમણુક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા શિક્ષણાઘિકારી ર્ડા. બી.એન.પ્રજાપતિ, સંચાલક મંડળના હોદ્દેદાર સંજયભાઇ રાવલ, જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ પ્રદિપસિંહ ચાવડા, રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના જિલ્લા પ્રમુખ પ્રહલાદભાઇ પટેલ અને વિવિઘ શાળાઓના સંચાલક મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


