રાજ્યના સહકાર મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા સતત ફિલ્ડ ઉપર જઇ અને પરિસ્થિતિનો તાગ મેળવી અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરોનો સામનો કરવા અને લોકોની વીજળી, પાણી સહિત પ્રાથમિક સુવિધાઓની મુશ્કેલીઓ નિવારવા માટે સૂચનાઓ સાથે માર્ગદર્શન આપી રહ્યા છે. તેમની સાથે જિલ્લા પ્રભારી સચિવ મનીષ ભારદ્વાજ પણ તંત્રની કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે.
આજે સાંજના બેઠકમાં મંત્રીશ્રીએ ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાવાની સંભાવના છે. વાવાઝોડા દરમિયાન વીજ પોલ પણ ધરાશાયી થવાની પૂરતી સંભાવના છે. જેથી ત્વરિત વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે વધુ ૧૩૦ ટીમની માંગણી કરવા માટે સૂચના આપી હતી. તેના અનુસંધાને તંત્ર આ ટીમોની માંગણી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વીજ પુરવઠો ખોરવાવાથી પીવાના પાણીની વિતરણ વ્યવસ્થાને અસર પહોંચી શકે તેમ હોય, જેથી પીવાના પાણી સ્રોત-પમ્પિંગ સ્ટેશન ખાતે જરુરિયાત મુજબ જનરેટર મૂકવવા માટે નિર્દેશ આપ્યા હતા. પીવાના પાણી જ્યાંથી પમ્પિગ કરવામાં આવે છે ત્યાંથી અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે પણ સૂચના આપી હતી.
આ બેઠકમાં સંભવિત પુર-વાવાઝોડાની સ્થિતિમાં કોમ્યુનિકેશન વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે ખાસ કરીને માંગરોળ અને માળીયાહાટીના તાલુકામાં પોલીસ સ્ટેશનમાં વાયરલેશ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે અને તે માટે જરુરી વ્યવસ્થા કરવા માટે પણ મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ.
દરિયાકાંઠાના ખાસ કરીને માંગરોળ, શીલ, ચોરવાડ, શેરીયાજના આસપાસના ગામોનો સમાવેશ કરી કલસ્ટર બનાવવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. આ ક્લસ્ટરોમાં સંભવિત રીતે વધુ અસર પામનાર ગામોનો સમાવેશ કરવામાં આવશે. જેમાં કલસ્ટર મુજબ તેની દેખરેખ રાખવા માટે મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજ, કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ, જિલ્લા પોલીસ વડાશ્રી રવિ તેજા વાસમ શેટ્ટી ઉપસ્થિત રહેશે.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી, એસપીશ્રી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


