જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસીયાએ આજે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવન ખાતેના જિલ્લા કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે તાલુકાના મામલતદારશ્રીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
કલેકટરશ્રીએ ખાસ કરીને ઘેડ પંથકના ૨૪ ગામોના સંદર્ભમાં મામલતદારશરીઓ પાસેથી વિશેષ જાણકારી મેળવી હતી. આ સાથે તેમણે જરૂરી તકેદારીના પગલાં લેવા બાબતે માર્ગદર્શન પણ આપ્યું હતું.
ઉપરાંત કલેકટરશ્રીએ વરસાદના આંકડા, જિલ્લાના જળાશયોમાં પાણીની આવક, ઓવરફ્લો વગેરે સ્થિતિની સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે નકશાના માધ્યમથી નીચાણવાળા ભાગો-ગામો વિશે પણ વાકેફ થયા હતા. ઉપરાંત ફરજ પરના કર્મચારીઓ પાસેથી નાગરિકોની ફરિયાદ નિવારણ માટેના પગલાંઓની પણ જાણકારી મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવન ખાતે ૨૪*૭ જિલ્લા કન્ટ્રોલ રૂમ કાર્યરત છે. નાગરિકોએ કોઈ પણ મદદ કે, આપાતકાલીન સ્થિતિમાં ૦૨૮૫-૨૬૩૩૪૪૬/૪૭/૪૮ પર સંપર્ક કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ઉપરાંત જિલ્લાના તમામ નાગરિકોને સુરક્ષિત અને સલામત સ્થળે સતર્ક રહે તેવી પણ અપીલ કરવામાં આવી છે.


