જૂનાગઢ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવન ખાતે કાર્યરત જિલ્લા કંટ્રોલરુમ ખાતે ફરજ પરના કર્મચારીઓ દ્વારા ખાસ કરીને માંગરોળ અને માળિયા હાટીના તાલુકાના ગામોમાં વીજળી અને પાણી સહિતની અન્ય કોઈ મુશ્કેલી કે જરુરિયાતો માટે ગામના સરપંચશ્રી અને આગેવાનોને સામેથી ટેલિફોનિક સંપર્ક કરીને તેમના પ્રશ્નો જાણી ત્વરિત નિવારણ માટે કાર્યવાહી હાથ ધરી રહ્યા છે.
જિલ્લા કંટ્રોલરૂમ ખાતે કર્મચારીઓ દ્વારા નાગરિકોનો ટેલિફોનિક સંપર્ક દરમિયાન જો કોઈ ગામમાં કોઈ પ્રશ્ન સામે આવે તો ત્વરિત સંબંધિત વિભાગ-કચેરી કે, અધિકારીઓને જાણ કરી પ્રશ્ન નિવારવા માટે જણાવવામાં આવે છે. આમ, તંત્ર સામેથી સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં લોકોની મુશ્કેલીઓ નિવારવા માટે પહેલરુપ પગલાં લઈ રહ્યું છે.
જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા સંભવિત વાવાઝોડાંની સ્થિતિમાં સમયાંતરે જિલ્લા કંટ્રોલરુમની મુલાકાત લઈ, તેમની કામગીરીની સમીક્ષા પણ કરી રહ્યા છે. આમ, કલેકટરશ્રીના નિર્દેશ મુજબ ડિઝાસ્ટર શાખાના કર્મચારીઓ લોકોના પ્રશ્નો નિવારવા માટે 24/7 કામ કરી રહ્યા છે.
ડિઝાસ્ટર શાખાના ઇન્ચાર્જ મામલતદાર શ્રી ડી.આર. ખમલ, નાયબ મામલતદાર સર્વશ્રી ધવલ શોભાસણા, વી.એલ. ચાવડા, એચ.પી. મેંદપરા, વી. એન. પરમાર, કે.એચ. દાફડા, એ.એલ.જાંબુકિયા, ક્લાર્ક શ્રી બી.એમ. પરમાર, ઓપરેટર હરેશ ગઢવી અને મયુર પરમાર સહિતના કર્મયોગીઓ સંભવિત આપત્તિની સ્થિતિમાં સતત જહેમત ઉઠાવી રહ્યા છે.
