જૂનાગઢ અને સોમનાથ જિલ્લામાં ૭૪ માં વન મહોત્સવ- ૨૦૨૩ દરમિયાન ચાલુ વર્ષે વિતરણ કરવા માટે સામાજિક વનિકરણ વિભાગ, ગિર સોમનાથ દ્વારા વિવિધ જાતિના ૩૦.૬૮ લાખ વિતરણ તથા વાવેતર માટે રોપાઓ તૈયાર કરાયા છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં ૨૧.૨૯ લાખ અને ગિર સોમનાથ જિલ્લામાં ૯.૩૯ લાખ રોપાઓનો ચાલુ વર્ષે લક્ષ્યાંક છે.
ખાતાકિય નર્સરીઓમાં ૨૨.૦૮, લાખ વિકેન્દ્રિત નર્સરીઓમાં ૩.૮૦ લાખ, મહિલા નર્સરીઓમાં ૩.૨૦ લાખ એસ.એચ.જી ગ્રુપ નર્સરીઓમાં ૧.૬૦ લાખ આમ કુલ ૩૦.૬૮ લાખ રોપાઓનો ઉછેર નર્સરીમાં ઉછેર કરાયો છે. જુદી જુદી જાતના બીજ વિતરણ કરવાનું પણ આયોજન છે. તેમજ આંગણવાડી, કૂપોષિત બાળકો, સગર્ભા સ્ત્રીઓના ઘર આંગણે ફળાવ રોપા વાવેતર- વિતરણ કરવાની ઝૂંબેશ પણ ચાલી રહી છે. જૂનાગઢમાં ૫૮ અને ગિર સોમનાથ જિલ્લામાં ૩૪ નર્સરીઓ(રોપ ઉછેર કેન્દ્ર) આવેલા છે.
વૃક્ષારોપણની પાવન કામગીરીને વ્યાપક, અસરકારક, સાર્વત્રિક અને લોકભોગ્ય બનાવવાના ઉદેશથી પ્રતિ વર્ષ વન મહોત્સવ યોજાતા રહે છે. જેથી વધુને વધુ સામાજિક વનિકરણ થઇ શકે. જેમાં નાગરિક, ખેડૂત, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ, ઉધોગકારો દ્વારા વધુને વધુ હિસ્સેદારી ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. વન વિભાગ દ્વારા તેઓની વિવિધ નર્સરીઓમાં ઉછેરેલા વિવિધ રોપાઓનું તેઓને વિતરણ કરવામાં આવે છે, જેને સારો એવો પ્રતિસાદ મળે છે.
વિવિધ રોપાઓ પૈકી નીલગીરી, અરડુસો, લીમડો, દેશી બાવળ, બંગાળી બાવળ, સાગ, ફળાઉ, ફૂલછોડ, તુલસી વગેરેના રોપાઓનો સમાવેશ થાય છે.
રોપા વિતરણ માટે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રોપાના દર અને વિતરણની છે સુઆયોજીત પધ્ધતિ છે. જેમાં કેટલાક રોપાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે. તો કેટલાંકના ટોકન દરે વિતરણ કરવામાં આવે છે. થેલીની સાઇઝ મુજબ ભાવો નકકી થતાં હોય છે. રૂ. ૨ થી લઇને રૂ.૧૦૦ સુધીના રોપાના ભાવ હોય છે. રોપાઓ ઉછેરવા અને તેની જાળવણી માટેનું માર્ગદર્શન પણ વન વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવે છે.
