રાજ્યમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની અસરના પગલે ઠેર-ઠેર યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. અગમચેતીના ભાગરુપે જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ વિભાગો દ્વારા સ્થળાંતર સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ઝીરો કેઝ્યુઆલીટીના અભિગમ સાથે છેવાડાના માનવીને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાઓ હાથ ધરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં આવેલા જંગલ વિસ્તારમાં વસતા નેસડાના માલધારીઓને વનવિભાગ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા આઠ વન્ય રેંજ હેઠળ વસતા વિવિધ નેસના ૩૬૯ માલધારીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતરિત કરવામાં આવેલા માલધારી ભાઈઓ, બહેનો, બાળકો સહિત પરિવારજનો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
વન વિભાગ હેઠળ આવેલા વનવિસ્તારમાં આઠ રેંજમાં કુલ ૧૧ કંટ્રોલરુમ કાર્યરત છે. કંટ્રોલરુમના માધ્યમથી સ્થિતિનું
સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગના ૧૩૦ જેટલા અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ દ્વારા જંગલ વિસ્તારમાં કોઈ પણ સ્થિતિને પહોંચી વળતા ટીમ વર્ક દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. નેસડાના માલધારીઓને આસપાસના ફાર્મ હાઉસ, જંગલના થાણાઓમાં ખસેડવામાં આવ્યા છે.
વન વિભાગ હેઠળ આવતા માર્ગ સહિતના વિસ્તારને પૂર્વ રત કરવા માટે અદ્યતન સાધન સામગ્રી, કટર, દોરડા, જે.સી.બી મશીન, પાવડા, ત્રિકમ, ટ્રેકટર, ટ્રકની વ્યવસ્થા કરી આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. આમ, બિપરજોય વાવાઝોડાના સંભવિત જોખમ સામે તકેદારીના પૂરતા પગલા ભરવામાં આવ્યા છે.


