બુધવારે મોડી રાત્રે અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા પાસે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓ પ્રત્યે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સંવેદના વ્યક્ત કરી છે.
મંત્રી ઋષિકેશ પટેલે આ દિવંગતોના સ્વજનોની ગુરુવારે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રૂબરૂ મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી.
તેમણે આ ગોઝારી ઘટના પર દુઃખ વ્યક્ત કરીને માર્ગ અકસ્માત સાથે સંકળાયેલ લોકો સામે સત્વરે સખત કાર્યવાહી કરવામા આવશે તેમ પણ જણાવ્યું હતું.
માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ લોકો પ્રત્યે સરકારે સંવેદનશીલતા દાખવી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દિવંગતોના પરિવારજનોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હોવાનું મંત્રી ઋષિકેશ પટેલ એ ઉમેર્યું હતું.


