અત્યારે પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.પોતાની પ્રભાવયુક્ત વિભૂતિઓનું વર્ણન કરીને વિષયનો ઉપસંહાર કરતાં ભગવાન સર્વ રીતે જાણવા યોગ્ય તત્વ પોતાને જ બતાવતાં ગીતા(૧૫/૧૫)માં કહે છે કે..
સર્વસ્ય ચાહં હ્રદિ સન્નિવિષ્ટો મતઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ
વેદૈશ્ચ સર્વેરહમેવ વેદ્યો વેદાન્તકૃત્દ્વેદવિદેવ ચાહમ્
હું જ સૌ પ્રાણીઓના હ્રદયમાં સ્થિત છું અને મારાથી જ સ્મૃતિ-જ્ઞાન તેમજ અપોહન(સંશય વગેરે દોષોનો નાશ) થાય છે.બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું.વેદોના તત્વનો નિર્ણય કરવાવાળો અને વેદોને જાણનાર પણ હું જ છું.
શરીર મન બુદ્ધિ વગેરે બધા જ સ્થાનોમાં ભગવાન વિદ્યમાન છે તેમછતાં હ્રદયમાં તેઓ વિશેષરૂપે વિદ્યમાન છે.હ્રદય શરીરનું પ્રધાન અંગ છે.બધી જાતના ભાવો હ્રદયમાં જ થાય છે.સમસ્ત કર્મોમાં ભાવ જ પ્રધાન હોય છે.ભાવની શુદ્ધિથી તમામ પદાર્થ ક્રિયા વગેરેની શુદ્ધિ થઇ જાય છે.પરમાત્મા સર્વવ્યાપી હોવાછતાં હ્રદયમાં પ્રાપ્ત થાય છે.જડતા સાથે સબંધ વિચ્છેદ થતાં સર્વત્ર વિદ્યમાન પરમાત્માતત્વ આપમેળે અનુભવમાં આવી જાય છે.
કોઇ બાબતની ભુલાયેલી જાણકારીનું પુનઃ પ્રાપ્ત થવું સ્મૃતિ કહેવાય છે.સ્મૃતિ અને ચિંતનમાં ફરક છે.નવી બાબતનું ચિંતન અને જુની બાબતની સ્મૃતિ થાય છે.ચિંતન સંસારનું અને સ્મૃતિ પરમાત્માની થાય છે.પરમાત્માનો અંશ હોવાછતાં પણ જીવ ભૂલથી પરમાત્માથી વિમુખ થઇ જાય છે અને પોતાનો સબંધ સંસાર સાથે માનવા લાગે છે.આ ભૂલનો નાશ થતાં હું સંસારનો નહી પરંતુ ભગવાનનો જ છું એવો અનુભવ થઇ જવો એ જ સ્મૃતિ છે.
સંસારની સ્મૃતિ હટાવવાથી હટવાની નથી વારંવાર ૫રમાત્માની સ્મૃતિનો અભ્યાસ કરવાથી સંસારની સ્મૃતિ આપો આ૫ નીકળી જશે.વારંવાર ૫રમાત્માની સ્મૃતિનો અભ્યાસ કરીએ,ચિંતા છોડી દઇએ અને સંસારની સ્મૃતિની જગ્યાએ પ્રભુ ૫રમાત્માની સ્મૃતિને લાવીને બેસાડી દઇએ,તેમ કરવામાં મન ના લાગે તો ૫ણ અભ્યાસ ચાલુ રાખીએ.એકવાર ૫રમાત્માની સ્મૃતિમાં મિઠાસ આવશે તો ૫છી જગતના તમામ રસ ફિક્કા લાગશે એટલે ૫રમાત્માના નામનું સુમિરણ કરીએ,અભ્યાસ સુમિરણનો કરીએ,અભ્યાસ કરતાં કરતાં તેમાં સ્વાદ આવવા લાગશે, રૂચિ પેદા થશે, મિઠાસ આવવા લાગશે.જ્યાંસુધી મિઠાસ ના આવે ત્યાં સુધી અભ્યાસપૂર્વક સુમિરણ કરીએ.
આહારની શુદ્ધિથી અંતઃકરણની શુદ્ધિ થાય છે.અંતઃકરણની શુદ્ધિથી સ્મૃતિ (બુદ્ધિ) સ્થિર થાય છે અને સ્મૃતિની સ્થિરતાથી જીવ અને માયાના સંબંધથી થતા રાગ-દ્વેષાત્મકની ગાંઠ છૂટી જાય છે.અંતકાળમાં ભગવાનની સ્મૃતિ બનેલી રહે તેના માટે ભગવાનના નામનું સુમિરણ ભગવાનની લીલાઓનું ચિંતન ભગવાનની કથાનું શ્રવણ સંતમહાપુરૂષોનો સત્સંગ કરવો જોઇએ.જે ભગવાનની શરણાગતિ સ્વીકારી લે છે તેના માટે અંતકાળમાં ભગવાનની સ્મૃતિ સુલભ બની જાય છે કારણ કે ભગવાને આશ્વાસન આપ્યું છે કે જે જીવનભર મારૂં ચિન્તન કરે છે તેને કદાચ અંતકાળમાં કંઠ રૂધાઇ જતાં પ્રભુ નામ સુમિરણ ના થઇ શકે તેવા સમયે હું તેમનું સ્મરણ કરૂં છું.આમ અંતિમ સમયની સ્મૃતિ પુરૂષાર્થ સાધ્ય નહીં ૫રંતુ ભગવત્કૃપાસાધ્ય છે અને આ ભગવત્કૃપા શરણાગત ભક્તના માટે સહજ સુલભ છે એટલે જન્મ-મરણના બંધનથી છુટવા ભગવાનની શરણાગતિ અને ભગવાનના નામનું સતત સુમિરણ એકમાત્ર ઉપાય છે.
વિષયોનું ચિંતન કરનાર મનુષ્યની તે વિષયમાં આસક્તિ જન્મે છે, આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે,કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે,ક્રોધથી મોહ(મૂઢતા) આવે છે,મૂઢતાથી સ્મૃતિ નષ્ટ થઇ જાય છે.સ્મૃતિ નષ્ટ થવાથી બુદ્ધિ અર્થાત વિવેક નાશ પામે છે.બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું ૫તન થાય છે.
કોઇ વિષયની જાણકારીને જ્ઞાન કહે છે.લૌકિક અને પારમાર્થિક જેટલું પણ જ્ઞાન છે તે બધું જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો આભાસમાત્ર છે.આથી જ્ઞાનને ભગવાન પોતાનાથી જ થવાવાળું બતાવે છે.
સદગુરૂના માધ્યમથી ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.બ્રહ્મજ્ઞાન ભક્તિનું સાધ્ય નહી પરંતુ સાધન છે.ભગવાનને જાણ્યા ૫છી જ આપણામાં દૈવી ગુણોનો પ્રવેશ થાય છે. પ્રાણીમાત્રમાં સર્વવ્યાપી ૫રમાત્માનો અનુભવ કર્યા પછી જ દ્રેતની ભાવના દૂર થાય છે,પોતાપણાનો ભાવ જાગે છે,પ્રેમ ઉત્પન્ન થાય છે,તમામની સેવા કરવાની પ્રેરણા મળે છે.સર્વ શક્તિમાન પરમાત્માને અંગસંગ જાણ્યા બાદ જ અહમ્ ભાવ દૂર થાય છે,દાસ ભાવનાનો જન્મ થાય છે,નમ્રતા જીવનનું અંગ બને છે.કર્તાની જાણકારી પછી જ સંતુષ્ટિનો ભાવ આવે છે.
પરમાત્માનું જ્ઞાન અને ભક્તિ પ્રાપ્ત કરવા માટે પોતાનું ઘર છોડવાની,દર દર ફરી ભિક્ષા માંગવાની, ગૃહસ્થનો પરીત્યાગ કરવાની અને ભગવા વસ્ત્ર ધારણ કરવાની આવશ્યકતા નથી.ગૃહસ્થનો ત્યાગ કરી બનાવટી સાધુનો વેશ ક્યારેય ધારણ કરવો નહી.તમામના નિર્માતા જ્યોત્તિ સ્વરૂ૫ પરમેશ્વરની સૃષ્ટ્રિમાં તમામ મનુષ્યએ પોતપોતાના કર્તવ્ય કર્મ, ત્યાગભાવથી કરેલા કર્મોથી માનવ લિપ્ત બનતો નથી.ભગવાનની ભક્તિમાં ગૃહસ્થાશ્રમ નહી,પરંતુ આસક્તિ જ બાધક છે.(અવતારવાણીઃ૯/૪)
બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રુત પૂર્ણ સદગુરૂ બ્રહ્મજ્ઞાન પ્રદાન કરીને પાપીઓનો ઉધ્ધાર કરીને મુક્ત કરે છે.જે ઢોંગી ગુરૂ હરિ મિલન માટે જિજ્ઞાસુઓને જપ-તપ-મંત્ર..વગેરે બતાવે છે,પરંતુ અંગ સંગ પ્રભુ પરમાત્માની ઓળખાણ ના કરાવે તો સમજવું જોઇએ કેઃ તે પૂર્ણ સંત નથી.પૂર્ણ સદગુરૂ તો એ છે કે જે બ્રહ્મનાં સાક્ષાત દર્શન-અપરોક્ષાનુભૂતિ કરાવી દે. પાપી ૫ણ બ્રહ્મજ્ઞાનથી પવિત્ર થઇ જાય છે કારણ કે બ્રહ્મજ્ઞાનથી અધિક પવિત્ર કરનાર ૫તિત પાવન વસ્તુ સંસારમાં બીજું કાંઇ નથી.(અવતારવાણીઃ૮૩)
બ્રહ્મજ્ઞાન ગુરૂ વિના પ્રાપ્ત થતું નથી.અવતારી મહાપુરૂષોએ ૫ણ ગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાની મર્યાદાનું પાલન કર્યું છે.
જ્ઞાનના ત્રણ સોપાન છેઃજાણવું-જીવનમાં ઉતારવું અને બ્રહ્મમય બની જવું.જ્યાં સુધી સર્વવ્યાપી પ્રભુ પરમાત્માનાં સાક્ષાત્ દર્શન-અપરોક્ષાનુભૂતિ ના થાય ત્યાં સુધી રામનું નિર્મલજ્ઞાન, વિમલ વિવેક થતો નથી.રામનું જ્ઞાન અને વિશ્વાસ ત્રણ રીતે થાય છેઃશાસ્ત્ર દ્વારા, ગુરૂ દ્વારા અને પોતે પોતાના દ્વારા.જ્યાં સુધી શાસ્ત્ર કૃપા, ગુરૂકૃપા અને આત્મકૃપાના દ્વારા પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી લક્ષચૌરાશીનો ચક્કર સમાપ્ત થઇ મુક્તિ મળતી નથી અને વ્યક્તિ માયામાં અહીં તહીં ભટકતો રહે છે.
જ્ઞાન જ્યારે દ્રઢ થતાં થતાં પ્રેમમાં ૫રીણત થાય છે તો તે ભક્તિ કહેવાય છે.જ્ઞાન વિના ભક્તિ સંભવ નથી અને ભક્તિથી જ્ઞાન સુદ્રઢ થાય છે.ભક્ત ૫ણ પોતાના સ્વામીને સમર્પિત થઇને નિશ્ચિંત બની જાય છે.જો માલિક હરિ પરમાત્માની ઓળખાણ નથી તો ભક્તિ કેવી રીતે અને કોની કરીશું?
સંશય ભ્રમ વિપરીતભાવ તર્ક-વિતર્ક વગેરે દોષોના દૂર થવાનું નામ અપોહન છે.ભગવાન કહે છે કે આ દોષો પણ મારી કૃપાથી જ દૂર થાય છે. શાસ્ત્રોની વાતો સત્ય છે કે અસત્ય? ભગવાનને કોને જોયા છે? સંસાર જ સત્ય છે વગેરે સંશયો અને ભ્રમ ભગવાનની કૃપાથી જ દૂર થાય છે. સાંસારીક પદાર્થોમાં પોતાનું હિત જોવું,તેમની પ્રાપ્તિમાં સુખ દેખવું,પ્રતિક્ષણે નષ્ટ થવાવાળા સંસારની સત્તા દેખાવી વગેરે વિપરીત ભાવો પણ ભગવાનની કૃપાથી જ દૂર થાય છે.
ભક્તને ભગવાનનાં પ્રત્યક્ષ દર્શન થયાં હોવાથી તેના તમામ સંશય નષ્ટ થઇ જાય છે.ભગવાનમાં તેનો દ્દઢ વિશ્વાસ થઇ જાય છે.તેનો નિશ્ચય અટલ અને નિશ્ચલ હોય છે તેથી તે સાધારણ મનુષ્યની જેમ કામ ક્રોધ લોભ મોહ કે ભય વગેરે વિકારોના વશમાં આવીને ધર્મથી કે ભગવાનના સ્વરૂ૫થી ક્યારેય વિચલિત થતો નથી.મનુષ્યે જ્યારે સદગુરૂ કૃપાથી પ્રભુનાં દર્શન કરી લે છે તો સદૈવ ઇશ્વરનાં દિદાર કરતાં કરતાં આ જીવનમાં આનંદ પ્રાપ્ત્ કરતાં કરતાં અંતમાં મૃત્યુ બાદ મુક્ત થઇ જાય છે.ઇશ્વરનાં દર્શન કરવાથી અજ્ઞાનતા નષ્ટ થઇ જાય છે.તેને જ્ઞાન થઇ જાય છે કે હું તો નિમિત્તમાત્ર છું ત્યારે તેનો મોહ સમાપ્ત થઇ જાય છે તેના ભ્રમ નષ્ટ થઇ જાય છે અને સંદેશ દુર થઇ જાય છે.તે પ્રભુને સમર્પિત થઇ પ્રભુ આજ્ઞા અનુસાર કર્મ કરે છે.(અવતારવાણીઃ૩૨૧)
તમામ શાસ્ત્રોનું એકમાત્ર તાત્પર્ય પરમાત્માનું એકમાત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે.જાણવા યોગ્ય એકમાત્ર પરમાત્મા જ છે.જેમને જાણી લીધા પછી કંઇપણ જાણવાનું બાકી રહેતું નથી.તમામ પ્રાણી પદાર્થ પરમાત્માની સત્તાથી જ સત્તાવાન થઇ રહ્યાં છે.પરમાત્માથી અલગ કોઇની પણ સ્વતંત્ર સત્તા નથી.ભગવાન કહે છે કે વેદ અનેક છે પરંતુ તે બધા વેદોમાં જાણવા યોગ્ય હું એક જ છું અને એ બધાને જાણવાવાળો પણ હું છું એટલે કે સર્વ કાંઇ હું જ છું.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
