*ફસાયેલા માલધારી સમાજના લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું, વહીવટી તંત્ર ખડે પગે*
બનાસકાંઠા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાને પગલે સતત બે દિવસ સુધી જિલ્લામાં તેજ ગતિના પવન સાથે વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા-નદી વિસ્તાર અને કાચાં મકાનોમાં રહેતા પરિવારો માટે આફત સર્જાઈ હતી. લોકોના ઘરોમાં પાણી ઘુસી જવા પામ્યાં હતા. ત્યારે આવી પરિસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્રની ટીમ તેમની વ્હારે આવી તેમને સુરક્ષિત સ્થળાંતર કરાવ્યું હતું.
દાંતા તાલુકાના નવાવાસ ગામમાં ખેતરમાં રહેતા માલધારી સમાજને માથે ભારે વરસાદથી સંકટ તોળાયુ હતું. ગુરુવાર શુક્રવાર બે દિવસ થયેલા ભારે વરસાદે જળબંબાકારની સ્થિતિ બનાવી દીધી હતી. જેના કારણે ખેતરમાં રહેતા માલધારી સમાજના લોકો મુસીબતમાં મુકાયા હતા અને લોકોના જીવ પડીકે બંધાયા હતા ત્યારે ખેતરમાં પાણી ભરાવાના લીધે માલધારી સમાજના લોકો ફસાયા હોવાની તંત્રને જાણ થતાં તાલુકા પંચાયત દાંતાની ટીમ દ્વારા માલધારી સમાજના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. બચાવ ટુકડી દ્વારા ફસાયેલા માલધારી સમાજના લોકો અને તેમના ઘરવખરી-માલસામાનને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી તેમને આફતમાંથી ઉગારવામાં આવ્યા હતા. તંત્રની આ કામગીરીને પગલે માલધારી સમાજે વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


