ગ્રીન જૂનાગઢ ક્લીન જૂનાગઢ સુત્ર સાથે જૂનાગઢ જિલ્લાના ૭૪માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની કેશોદ ખાતે ઉજવણી યોજાઇ હતી.
કેશોદની આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલ વનમહોત્સવ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શાંતાબેન ખટારિયાએ અધ્યક્ષીય પ્રવચન આપતા જણાવ્યું હતું કે, આપણા જીવનમાં વૃક્ષો, જંગલોનું અનેરૂ મહત્વ છે. સરકારશ્રી દ્વારા ૧૯૫૦થી આ મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આપણા ભવિષ્ય માટે આપણે વૃક્ષો વાવીએ અને તેનું જતન કરવા કટીબધ્ધ બનીએ આજના સમયની જરૂરિયાત છે. કેશોદ ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં આપણે વૃક્ષો, ઓક્સિજનનું મહત્વ જાણ્યું છે. ત્યારે આપણે સૌ વૃક્ષો વાવવા માટે કટીબધ્ધ બનવા અનુરોધ કર્યો હતો.
માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગઠિયાએ એ જણાવ્યું હતું કે, વન મહોત્સવને સફળ બનાવવા લોકોનો સાથ, સહકાર ખૂબ જરૂરી છે.
કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ આપણા જન્મ દિવસ, પુણ્યતિથિના દિવસે એક ઝાડ વાવવા અને તેનું જતન કરવા કહ્યું હતું. કલાઇમેટ ચેન્જનો આપણે સૌ સામનો કરી રહ્યા છીએ ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવવામાં માં આવે એ જરૂરી છે. દેશભરમાં તા. ૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન યોજાનાર મારી માટી મારો દેશ અભિયાન અન્વયે થનાર વસુધા વંદન કાર્યક્રમમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
જૂનાગઢ વન વર્તુળ મુખ્ય વનસંરક્ષકશ્રી ડો.કે.રમેશે જણાવ્યું હતું કે, વન મહોત્સવના દીર્ઘદ્ષ્ટા કનૈયાલાલા મુનશી છે. તેમના પ્રયાસોથી દર વર્ષે વન મહોત્સવનું આયોજન થાય છે. તેમણે પ્રકૃતિનું માન જાળવવા અને તેના નિયમોને અનુરૂપ જીવવા જણાવ્યું હતુ.
આ તકે સાવજ ડેરીના ચેરમેનશ્રી દિનેશભાઇ ખટારિયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ગીરસોમનાથ સામાજિક વનિકરણ વિભાગ નાયબ વનસંરક્ષકશ્રી અને નોડલ ઓફિસરશ્રી પ્રશાંત તોમરે કર્યું હતું.
મહાનુભાવોના હસ્તે શાળાના પંટાગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. જેમાં વડ, પ્રાગવડ, બહેડા, પીપળો, ઉમરો, બોરસલી, પારસપીપળો, કાચનાર, કડવો લીમડો, બદામ અર્જુનસાદડ, નગોડ, આસોપાલવ, રાયણ અને કરંજ જેવા રોપાઓનું વાવેતર કરવામાં આવેલ હતું. જેમાં પાણીની બચત કરી વૃક્ષને જરૂરિયાત મુજબ પાણી મળી રહે તે માટે મટકા પદ્ધતિની નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.
તેમજ આ તકે ઓક્સિજન રથનું પ્રસ્થાન પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવેલ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૭૪ માં વન મહોત્સવમાં વન વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ ૧૦૦૦ રોપાનું વાવેતર અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલ હતું. તેમજ સમગ્ર જિલ્લામાં ૧૦ હજાર રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન શ્રી ભુપેન્દ્રભાઈ જોશીએ કર્યુ હતુ.કાર્યક્રમ ને સફળ બનાવવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી જી.પી.સુહાગિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી જયશ્રી પટાટ સહિતના વનવિભાગના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ સમારોહમાં પૂર્વ ધારાસભ્ય હમીરભાઇ ધુળા, કેશોદ નગરપાલિકા પંચાયત પ્રમુખ શ્રીમતી લાભુબેન પીપળીયા,કેશોદના પ્રાંત અધિકારી શ્રી ગરચર, ડીવાયએસપી શ્રી ઠક્કર, આદર્શ નિવાસી શાળાના આચાર્ય, સ્ટાફ અને વિદ્યાર્થીઓ તેમજ વન વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની આભાર વિધિ કેશોદ રેન્જના આરએફઓ શ્રી દર્શના કાગડાએ કરી હતી.


