મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવભારત સાહિત્ય મંદિરના આ પ્રશંસનીય કાર્ય બદલ અભિનંદન આપ્યા
પુસ્તક મેળામાં વિવિધ વિષયોનાં ૨૫,૦૦૦થી પણ વધુ પુસ્તકોનો ખજાનો ઉપલબ્ધ
અમદાવાદના સી.જી. રોડ પર આવેલા સુશીલાબેન રતિલાલ હોલ ખાતે નવભારત સાહિત્ય મંદિર દ્વારા ‘કલમનો કાર્નિવલ’ પુસ્તક મેળાનું આયોજન કરાયું છે.
આ પુસ્તક મેળો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુસ્તક પ્રદર્શનને નિહાળ્યું હતું અને ત્યાં ઉપસ્થિત વિવિધ લેખકો સાથે વાર્તાલાપ કર્યો હતો. નવભારત સાહિત્ય મંદિર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે. ૪ થી ૨૦ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી ચાલનારા આ પુસ્તક મેળામાં વિવિધ વિષયો જેવા કે, ઈતિહાસ, પૌરાણિક કથા, આધ્યાત્મિક, ધર્મ, સસ્પેન્સ, ડ્રામા, હૉરર, સેલ્ફ-હેલ્પ, મેનેજમેન્ટ, પ્રેરક, ઇતિહાસ વગેરેના ૨૫,૦૦૦થી પણ વધુ પુસ્તકોનો સમાવેશ છે. આ ઉપરાંત પુસ્તકો અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષામાં ઉપલબ્ધ છે. ‘કલમનો કાર્નિવલ’ પુસ્તક મેળામાં ધારાસભ્ય અમિતભાઇ શાહ અને સાહિત્યકારો, લેખકો, પત્રકારો તથા મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ હાજર રહ્યા હતા.
