જેતપુર ડાઇંગ એસોશીશન, રાહત સમિતિ, માર્કેટયાર્ડ અને સ્વામિનારાયણ મંદિર ગાદીસ્થાનનો સેવક ગણ મેદાને : 6 હજાર ફૂડપેકેટ બનાવ્યા : સરકારી તંત્રોની સાથોસાથ સહયોગ આપવાની પ્રસંશનિય સેવાની સાર્વત્રિક સરાહના
બિપોરજોય વાવાઝોડાની દહેશતે સમગ્ર રાજ્યની પ્રજા ભયના ઓથાર તળે આવી ગઈ છે ત્યારે જેતપુરમાં પણ ડાઇંગ એસોશીએશન, રાહત સમિતિ, માર્કેટ યાર્ડ અને સ્વામિનારાયણ ગાદીસ્થાન મંદિર એમ ચારે સંગઠનો મેદાનમાં આવ્યા છે. અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ખડેપગે સેવા આપવા તેમજ ફૂડપેકેટ પૂરા પાડવાની અનન્ય તૈયારીઓ બતાવી છે.
આ બાબતે ઉપરોકત ચારેય સંગઠનોના કાર્યવાહકો અને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એશો. ના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયાએ જણાવ્યું હતું કે શહેરમાં ક્યાંય પણ કોઈ જાનહાનિ ન થાય તે માટે સરકારી તંત્રો સાથે તેઓ પણ રાત-દિવસ સધિયારો આપશે. એટલુંજ નહીં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગરીબોને સ્થળાંતર કરવાની જરૂર પડશે તો શહેરના આ ચારે સંગઠનો બનતી જાહેમત ઉઠાવશે.
આ સિવાય અત્યાર સુધીમાં 6 હજાર જેટલા ફૂડપેકેટ બનાવાયા છે. સરકારી તંત્રોની સૂચના મળે અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં ફૂડ પેકેટ પહોંચાડવાની સેવા કરવામાં આવશે.
રાહત સમિતિ, સ્વામી. મંદિર, ડાઇંગ એશો અને માર્કેટ યાર્ડના તમામ નાના મોટા આગેવાનો સેવામાં જોડાઈ ગયા છે. જાય સુધી વાવાઝોડાની આફત વર્તાતી રહેશે ત્યાં સુધી સેવા કરવાનો નિર્ધાર કરાયો છે. ડાઇંગ એશો. ના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયાએ એવું પણ જણાવ્યું હતું કે કુદરતી આફત સામે માણસ લાચાર થાય ત્યારે બનતી મદદ સૌએ કરવી જોઈએ અને આવી સેવાની ફરજ માટે સ્વયં જાગૃતિ દાખવી સહયોગ જરૂરી છે.


