Gujarat

પ્રેમલગ્ન એક અનોખી પરંપરા. એક ઉન્માદ કે સમ્યક્ સમજણ? 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
એક વાતની પણ નોંધ લેવા જેવી છે કે હમણાં હમણાં લવ મેરેજ સંદર્ભે કોઈ નવા કાનૂની જોગવાઈ કરવાની માંગણી કરવાના સંદર્ભની વાતો અમુક સંગઠનો દ્વારા ચર્ચામાં છે ત્યારે ખરેખર એક વાત પણ નોંધવા જેવી છે કે
પ્રેમ એ તો પૃથ્વી પર કુદરતે અર્પણ કરેલું અણમોલ તત્વ છે. હા ઘણીવખત સમજ્યા વગરનો અણઘડ પ્રેમ ઉન્માદ પણ સર્જી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રેમ એ દિવાનગી સુધી પહોંચી જાય ત્યારે ઘણીવખત તેનાં અણધાર્યા પરિણામો સમાજમાં જોવા મળે છે. એક વાત સાથે સો ટકા સંમત થવાઈ કે જે માતાપિતાએ પોતાના સંતાનોને ખૂબ લાડકોડથી ઉછેરીને મોટા કર્યા હોય એ સંતાનો પ્રેમ લગ્ન જેવું પગલું ભરે અને તે પણ  માતાપિતાની જાણ બહાર  તે દરેક માતાપિતા માટે આઘાતજનક અને પીડાજનક તો હોય જ. એટલે એક પક્ષે વાત કરીએ તો માતાપિતાને પુર્ણ વિશ્ર્વાસમાં લઈને આવા લગ્નો થાય એ ઇચ્છનીય છે. પરંતુ બીજી તરફનું પાસું એ પણ વિચારવા જેવું છે કે જે યુગલ પ્રેમલગ્ન કરવા ઇચ્છતું હોય તેનાં મનમાં પણ પોતાના માતાપિતા આ સંબંધ નહીં સ્વીકારે તો એવો છૂપો ડર હોય છે અને સમાજની પરંપરા, સ્ટેટસ, જેવા અનેક ફેક્ટર પણ આવા યુગલને મા બાપની સંમતિ નહીં આપે એવાં વિચારોથી તેઓની જાણ બહાર આવું પગલું ભરવા પ્રેરતાં હશે..
જો કે પ્રેમની એક કક્ષા દિવાનગી સુધી પહોંચે ત્યારે  એને કદાચ પાગલપનનું કૃત્ય પણ ગણીએ તો પહેલાં જે દિવાનગીનું ભૂત સવાર થયું હોય તેનો ઈલાજ જરૂરી છે. લગ્ન એ તો સોળ સંસ્કાર પૈકીનું એક સંસ્કારનું અંગ છે. જો કે આ એક રસિક અને જટીલ વિષય છે. આમ ગણીએ તો પ્રેમીજનો પણ એકબીજાને હની શબ્દથી સંબોધતાં જોવા મળે છે
એટલે આ પ્રશ્ન પણ મધપુડા જેવો જ છે. અને મધપૂડાને છંછેડવો એ પણ ખૂબ કુનેહ અને કૌશલ્ય માંગી લે તેવો છે. જો કે બીજી તરફ જોઈએ તો
પ્રેમ એ  અતિ દિવ્ય તત્વ પણ છે જો તેમાં વાસના ન હોય તો. અને શિરી ફરહાદ, સોહની મહિવાલ, શેણી વિઝાણંદ, લૈલા મજનૂ જેવી પ્રેમકથાને રાજ રજવાડાં પણ નથી રોકી શક્યા!! . અરે પૃથ્વીરાજ ચૌહાણ – સંયુકતા, રૂકમણી માધવ  આવાં અનેક નામો ખૂબ પ્રાચીન સમયથી લોકમુખે છે. અરે આજે પણ માધવપુરનો મેળો એ કોની સ્મૃતિમાં યોજાય છે? એટલે પ્રેમ તો પરમ  પવિત્ર તત્વ છે.. પેલા શોલેમાં ધર્મેન્દ્રભાઈ છેક ટાંકી પર ચડી જાય છે એ પ્રસંગ પણ પ્રેમનું અનાડી પ્રગટિકરણ દર્શાવે છે. તો વળી આજ શોલે ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને જયાની મૂક પ્રેમકહાની પણ ઘણી માર્મિક ટકોર કરી જાય છે. જો કે એમ પણ કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. તો પછી એને અરીસો બતાવવાનો શો અર્થ? જો કે સભ્ય સમાજની અમુક નિયંત્રણ રેખાઓ હોય છે. પરંતુ પ્રેમ તો આ નિયંત્રણ રેખાને ઓળંગીને ક્યાંય માઈલો દૂર છલાંગ લગાવી જાય છે. જો કે એમ તો દારૂબંધીનો કાયદો છે જ ને ગાંધીના ગુજરાતમાં..!! પરંતુ લોકોને પણ ઘણીવખત શરાબમાં ધૂત વ્યક્તિઓનો ભેટો પણ જાહેરમાં થઈ જાય છે. એટલે વાત સમજની છે. આત્મસાત્ કરવાની છે. કાઉન્સેલીંગ કે બોધપ્રેરક વાતો અને આદર્શવાદની વાતો પણ અમુક હદ સુધી જ હોય.. આજનાં યુગની આ ઈન્ટરનેટ ડીઝીટલ યુગમાં તાળા નથી હોતાં એ છાનેપગલે પણ પ્રસારનું માધ્યમ બની જતું હોય છે. એમાં ઓછામાં પૂરૂં હોય તેમ આજની અમુક  ટી.વી.સિરિયલોનું કન્ટેન્ટ.. કારણ કે અમુક ટી.વી.સિરિયલોનું  કન્ટેન્ટ જ વ્યક્તિનાં  મનમસ્તિષ્ક પર ઘણી પ્રભાવક અસર કરે છે અને પરિણામે પણ આવાં પ્રેમ લગ્નો થઈ શકે છે. ક્યાં સુધી આપણી કાનૂની હદ વિસ્તરે. સ્વાભાવિકને સ્વાભાવિક રહેવા દેવું એ પણ કુદરતનો નિયમ છે. એમાં વધુ હસ્તક્ષેપ થઈ શકશે ખરો.?
–પ્રસ્તુતિ હર્ષદભાઈ જોશી બિપીનભાઈ પાંધી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *