રાષ્ટ્રીય પર્વ ૧૫મી ઓગસ્ટના ઉજવણીના પૂર્વ દિવસે જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજથી કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ સુધીની ‘હર ઘર તિરંગા યાત્રા‘ નીકળી હતી. તિરંગામય આ યાત્રામાં પદાધિકારી-અધિકારી, પોલીસ, NDRF, SDRFના જવાનોની સાથે વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. આમ,હર ઘર તિરંગા યાત્રામાં જૂનાગઢ દેશભક્તિના રંગે રંગાયુ હતું.
મહંત શ્રી ઈન્દ્રભારતી બાપુ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ધારાસભ્ય સર્વશ્રી સંજયભાઈ કોરડીયા, દેવાભાઈ માલમ, ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા, કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, કમિશનર શ્રી રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા સહિતના મહાનુભાવોએ હર ઘર તિરંગા યાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ અને તિરંગા યાત્રામાં જોડાયા હતા. જૂનાગઢના રાજમાર્ગો પર પસાર થઈને આ યાત્રાનું કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.
આ હર ઘર તિરંગા યાત્રાના સમાપન સમારોહમાં મહંત શ્રી ઈન્દ્રભારતી બાપુએ સ્વાતંત્ર્ય પર્વની અગ્રીમ શુભકામના પાઠવતા દેશ માટે કુરબાન થતાં જવાનો માટે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વીરગતિ શબ્દનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. આ સાથે તેમણે દેશનો સીમાડો સાચવીને બેઠેલા જવાનોના સન્માનમાં મોબાઈલની ફ્લેશલાઈટ ઓન કરી જવાનો માટે કૃતજ્ઞતા પ્રગટ કરવા અનુરોધ કર્યો હતો. તેના પગલે સર્વે ઉપસ્થિતોએ ફ્લેશ લાઈટ ચાલુ કરી દેશના જવાનો માટે સન્માન પ્રગટ કર્યું હતું.
સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના આહવાનને દેશના લોકોએ ખૂબ ઉત્સાહ સાથે વધાવ્યું છે. સાથે જ વિદેશોમાં વસતા ભારતીયોએ પણ પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમા સહભાગી બન્યા છે. આજે પ્રધાનમંત્રી શ્રી મોદીના સક્ષમ નેતૃત્વના પરિણામે નયા ભારતની શક્તિનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. યુક્રેન-રશિયાના યુદ્ધમાં પણ ભારતીય વિદ્યાર્થીઓ-નાગરિકોને સુરક્ષિત બહાર આવવા માટે તિરંગાની શક્તિનો પરિચય સમગ્ર વિશ્વને જોવા મળ્યો હતો.
મેયર શ્રીમતી ગીતાબેન પરમાર અને ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ પોતાના ઘર, વ્યવસાય સહિતના સ્થળોએ તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. સાથે જ તિરંગો લહેરાવતી વખતે રાષ્ટ્રધ્વજનું સંપૂર્ણ સન્માન જળવાઈ રહે, તિરંગાને ક્ષતિ ન થાય અને સુવ્યવસ્થિત ફરકાવવામાં આવે તે માટે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાએ શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું કે, હર ઘર તિરંગા અને મારી માટી, મારો દેશ અભિયાનના પરિણામે રાષ્ટ્રીય ભાવનાની સાથે એક નવચેતનાના વાતાવરણનું નિર્માણ થયું છે. તેમ જણાવતા તેમણે કહ્યું કે, મહામુલી આઝાદી અને સ્વાતંત્ર્ય વીરોના બલિદાનોના પરિણામે મુક્ત રીતે હરી-ફરી શકીયે છીએ અને ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ. પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી શરૂ થયેલ મારી માટી, મારો દેશ અભિયાનમાં ગામડાઓ સહિતના જન-જન સહભાગી થઈ રહ્યા છે. દેશ માટે ન્યોછાવર થનાર શહીદોના સન્માનમાં શીલાફલકમ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત રાષ્ટ્રીય એકતાના શપથની સાથે દેશને પ્રગતિને નવી ઊંચાઈ પર લઈ જવા માટે પંચ પ્રાણ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી રહી છે.
ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણાએ હર ઘર તિરંગા અને મારી માટી, મારો દેશ અભિયાનમાં સહભાગી થવા માટે લોકોને અનુરોધ કર્યો હતો. સાથે જ આ કાર્યક્રમના સફળ આયોજન માટે જિલ્લા વહિવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે જુદી જુદી શાળાઓની વિદ્યાર્થીનીઓએ દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા અને રાષ્ટ્રગાન સાથે સમગ્ર કાર્યક્રમ પૂર્ણ જાહેર થયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના શ્રીમતી કંચનબેન ડઢાણીયા, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, નિવાસી અધિક કલેકટર શ્રી પી.જી. પટેલ, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વાઢેર, પ્રાથમિક શિક્ષણાધિકારી વિપુલ ઘુંચલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના પદાધિકારી-અધિકારી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


