યુવા વિદ્યાર્થીઓ તેમજ ભારતીય નાગરિકોમાં દેશપ્રેમ વધે અને શહીદોના બલિદાનોની સ્વાધીનતાને પીછાણી, ભારતીય હોવાના ગર્વની લાગણીને અનુભવે તેવા ઉમદા હેતુથી સરકારશ્રી દ્વારા સમગ્ર દેશભરમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉષ્માસભર ઉજવણી કરાઈ રહી છે. ત્યારે તાલાળા ગીરની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ દ્વારા આ કાર્યક્રમને એક અનોખી રીતથી ઉજવવામાં આવ્યો હતો. સમગ્ર વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને ગીરની માટીના તિલક કરી, હાથમાં માટી લઇ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
તાલાળા શહેર ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં એશિયાઇ સિંહ અને ગીર અભ્યારણ્યના વિષય પર વિદ્યાર્થીઓની સર્જનાત્મક કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોલેજના કેમ્પસ ખાતે તાલાલા ગીરની શાન સમા કેસર કેરીના અંબાના વૃક્ષોનું વાવેતર કોલેજના આચાર્યશ્રી ડેનીશ લાડાણી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોલેજના અધ્યાપક ડો.ધર્મેશ પી વાવૈયા દ્વારા વિષયને અનુરૂપ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને વૃક્ષો વાવી, તેનું ખૂબ જતન કરવા અંગે પ્રોત્સાહન પૂરું પડાયું હતું. કોલેજના સમગ્ર સ્ટાફ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી વિદ્યાર્થીઓની સાહસિકતા અને જીજ્ઞાશાવૃતિને પ્રોત્સાહિત કરી કાર્યક્રમને સફળતા પૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.


