ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે બહાઉદીન આર્ટસ કોલેજ, જુનાગઢ ખાતે સામુહિક યોગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં યુનિવર્સિટી તથા બહાઉદીન આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના તમામ ટીચિંગ–નોન ટીચિંગ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુનોના હેડક્વાર્ટર ખાતેથીતથા ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપધનખરેજીએ ઓનલાઈન માધ્યમ દ્વારા વર્ચ્યુઅલી શુભેચ્છા પાઠવી હતી અને ભારત સહીત સમગ્ર વિશ્વને યોગ અને તંદુરસ્તીનું મહત્વ સમજાવ્યું હતું.
યોગ દિન નિમિતે યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ભારતની ગણના યુવાન દેશ તરીકે થઇ રહી છે ત્યારે આજનું યુવાધન યોગ દ્વારા એક તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. પહેલું સુખ તે જાતે નર્યા ઉક્તિને સાર્થક કરતા યોગદિનનું આજના યુગમાં અનન્ય મહત્વ છે તેવું પણ અંતમાં કુલપતિશ્રી ડો.ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું. આ સામુહિક યોગ કાર્યક્રમમાં યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો.મયંકભાઈ સોની, બહાઉદીન સાયન્સ કોલેજના આચાર્ય પ્રો.આર. પી. ભટ્ટ તથા બહાઉદીન આર્ટસ કોલેજના આચાર્ય પ્રો.પી. વી. બારસીયા પણ જોડાયા હતા.યોગ કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું.


