રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા આજે સવારે જિલ્લા કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી. તેમણે કંટ્રોલ રૂમ ખાતેથી જ ગામ આગેવાનોને ફોન જોડી તેમની પાસેથી વીજળી પાણી સહિતની સુવિધાઓની જાણકારી મેળવી હતી. ઉપરાંત જિલ્લા કંટ્રોલ રૂમ ખાતેના રજીસ્ટર તપાસી ફરિયાદના નિવારણ માટે હાથ ધરાયેલ કાર્યવાહીની પણ જાણકારી મેળવી હતી. મંત્રીશ્રીએ કંટ્રોલરૂમના કર્મચારીઓ સાથે વાતચીત કરી મળેલ ફરિયાદોનું કેવી રીતે નિરાકરણ કરવામાં આવી રહ્યું છે, તે સંદર્ભે જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આમ, મંત્રીશ્રીએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવન ખાતે કાર્યરત જિલ્લા કંટ્રોલરૂમની કામગીરીનું નિરીક્ષણ-સમીક્ષા કરી હતી.
આ તકે જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસીયાએ મંત્રીશ્રીને કંટ્રોલ રૂમની સમગ્ર કામગીરી અને ફરિયાદ નિવારણ માટેના પગલાઓથી વાકેફ કર્યા હતા.
આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટ પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી પી.જી.પટેલ, પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


