રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન બને તથા સમાજમાં
ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મુકવામાં આવ્યા છે.
સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય સહિતના ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ
થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ, રાજ્ય સરકાર દ્વારા આગામી તા. ૧ ઓગસ્ટથી તા. ૭ ઓગસ્ટ દરમિયાન
'નારી વંદન સપ્તાહ' ની તમામ જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવશે.
જે અન્વયે, જામનગર જિલ્લામાં 'નારી વંદન સપ્તાહ' ની ઉજવણી કરવામાં આવશે. નારી વંદન સપ્તાહ દરમિયાન જિલ્લામાં
મહિલાલક્ષી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તા. ૧ ઓગસ્ટથી ૭ ઓગસ્ટ દરમિયાન મહિલા સુરક્ષા દિવસ,
બેટી બચાવો બેટી પઢાવો દિવસ, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કલ્યાણ
દિવસ તેમજ મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી સંબંધિત કચેરીઓ દ્વારા કરવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન, મહિલા સુરક્ષા સંબંધી વિવિધ કાયદાઓ અને મહિલાલક્ષી યોજનાઓની લાભાર્થીઓને માહિતી આપવામાં
આવશે. આ ઉપરાંત, કિશોરીઓ તથા સગર્ભા મહિલાઓની હિમોગ્લોબીન તપાસ તેમજ તેમને આરોગ્યલક્ષી જાણકારી
આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા અમલવાન્વિત મહિલાલક્ષી વિવિધ યોજનાઓ વિષે માહિતી મેળવવા માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અને દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી સોનલબેન વર્ણાગરનો સંપર્ક સાધી શકાશે. તેમ
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડો. જે.સી. ગોહિલ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
