લખપત-કચ્છ
ગુજરાત સમગ્ર દેશમાં સૌથી વધુ દરિયા કિનારાની સાથેસાથે ચેરના વૃક્ષોનો વિસ્તારમાં પણ અગ્રસ્થાન ધરાવે છે. મુખ્મંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં દરિયાકિનારે ચેરના વૃક્ષોના વાવેતરમાં સતત વધારો થઈ રહ્યો છે. તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ની સ્થિતિએ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ૮૮૫ હેક્ટર તેમજ અબડાસા તાલુકામાં ૬૦૦ હેક્ટર એમ કુલ ૧,૪૮૫ હેક્ટર વિસ્તારમાં ચેરના વૃક્ષોનું વાવેતર છે.રાજ્ય સરકાર દ્વારા આ માટે ?.૨૨૯ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું.
વન મંત્રી બેરાએ ગૃહમાં વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ચેરના વાવેતરને નુકસાન પહોંચાડનાર કંપનીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે. આ નુકસાન સામે કાર્યવાહી કરવા માટે વન વિભાગ, કંડલા પોર્ટ ટ્રસ્ટ અને કચ્છ જિલ્લા કલેકટરની સંયુક્ત રીતે કમિટી બનાવવામાં આવી છે. કંપનીઓ દ્વારા ધંધા, વેપાર અર્થે ચેરના વાવેતરને કાઢી નાખવા- નુકસાન બદલ છેલ્લા બે વર્ષમાં કુલ સાત ફરિયાદો મળી હતી જેમાં પાંચ ફરિયાદની વિગતવાર તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે અન્ય બે ફરિયાદો સામે હાલમાં તપાસ ચાલુ છે તેમ મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.
