ગુજરાતમાં 3 લાખ, 79 હજાર એકર ભૂમિમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. રાજ્યની 1036 ગ્રામ પંચાયતોમાં 75 થી વધુ ખેડૂતો
પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.14,455 ગ્રામ પંચાયતો પૈકી 14,338 ગ્રામ પંચાયતોમાં એક થી વધારે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ
પદ્ધતિ અપનાવી છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિધાનસભામાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ગુજરાતમાં 3 લાખ,
26 હજાર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી લીધી છે.
ભારતના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એવું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે. આ સપનું સાકાર
કરવા ગુજરાત સરકાર વ્યાપક અભિયાન ચલાવી રહી છે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, અત્યાર
સુધીમાં ગુજરાતમાં દસ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. આ ફેબ્રુઆરી મહિનામાં જ આ
જ સુધીમાં 1,116 પ્રશિક્ષણ તાલીમ વર્ગો દરમિયાન 47,305 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી છે. પ્રાકૃતિક
કૃષિ માટે દેશી ગાય અનિવાર્ય છે. રાજ્ય સરકાર ખેડૂતોને દેશી ગાયના નિભાવ માટે વર્ષે ₹10,800 ની આર્થિક સહાય આપે
છે. ₹1,84,000 હજાર ખેડૂતોને ₹320 કરોડની આવી આર્થિક સહાય આપવામાં આવી છે.
ડાંગ જિલ્લાને સંપૂર્ણ રૂપે રસાયણમુક્ત જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે. ડાંગમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત
કરવા બે હેક્ટર સુધી ₹20,000 ની આર્થિક સહાયતા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 16,188 ખેડૂતોએ આ સહાયનો
લાભ લીધો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે પરિણામલક્ષી પ્રયત્નો કરવા
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. રાજ્યની પાંચ કૃષિ યુનિવર્સિટીઓમાં અલગ અલગ 12 પાકો
પર પ્રાકૃતિક ખેતીના સંદર્ભે સંશોધનો થઈ રહ્યા છે. કૃષિ વિશ્વવિદ્યાલયોમાં પ્રાકૃતિક કૃષિને અભ્યાસક્રમમાં દાખલ કરવાની
કાર્યવાહી કરવામાં આવી છે. અલગ અલગ શૈક્ષણિક વર્ષથી કૃષિ યુનિવર્સિટીઓ પ્રાકૃતિક કૃષિને અભ્યાસક્રમમાં આમેજ કરશે.
