આ શબ્દ બોલવામાં કેટલો સરળ લાગે છે .પરંતુ કોઈએ વિચાર કર્યો છે આ શબ્દ બોલ્યા પછી જો કોઈ એના જીવનમાં અનુસરણ કરે ત્યારે કેટલી હદે પીડાઓ સાથે જીવન જીવવું પડે છે. અને આ શબ્દ હજુ સુધી સ્ત્રીઓને માટે ખાસ વપરાય છે.. આ વાંચી ઘણી સ્ત્રીઓ કહી ઉઠશે હા સાચી વાત છે. પરંતુ મારી નજરે જોવો તો જેટલું સ્ત્રીઓ જતું કરે છે એટલું જ પુરુષો પણ કરે છે.
જોવા જઈએ તો પહેલા જ બાળપણમાં જો ભાઈ મોટો ને બહેન નાનકડી તો તુરંત ભાઈને કહેવામાં આવશે તારી બહેન છે જતું કરી દે એ તોફાન કરે તું મોટો છે. એ જ રીતે બહેનને સમજાવવામાં આવે ભાઈ છે તારે જતું કરતાં શીખવાનું છે. તું પરણીને જતી રહીશ.
એ જ રીતે દરેક પરિવાર, મિત્રોમાં નોકરીમાં, કે પોતાના વ્યવસાયમાં, અને સૌથી વધારે માતા પિતાની દેખભાળ માટે થયેલ હઠાગ્રહ ,કે જીદમાં. આવેલ આવેશને સમાવવા માટે જતું કરતાં રહો શબ્દ જીવનમાં વણાય ગયો છે.
કોઈપણ પ્રકારની જીદને પ્રોત્સાહન મળે એટલે જતું કરો એ સાંભળવા મળે છે અને એ શબ્દ ને જીવનમાં જીવવો પડે છે. સમયાંતરે જયારે સમજ આવે છે કે ત્યારે એ જતું કરો નું થડ વટવૃક્ષની માફક પરિવાર, કુટુંબ,અને સમાજ અને પછી રાષ્ટ્રમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.
મારી નજરે જતું કરતાં રહો એ કહેવા કરતાં એવા કોઈપણ હઠાગ્રહ ને પ્રોત્સાહન ના આપો.
આપ સૌ ને થતું હશે કે હઠાગ્રહ ને લીધે જ જતું કરવું પડે?તો જવાબ છે હા જેમકે પહેલું ઉદાહરણ આપણી નજર સમક્ષ હાજર હોય છે પરિવાર પરિવારના સભ્યોને સાચવવા માટે કોઈના કોઈએ જતું કરતાં રહેવું પડે છે કારણ તો કહેવાય છે પરિવાર છે. પરંતુ એ જે વ્યક્તિ જતું કરી રહ્યું હોય છે એ પોતાની અપેક્ષાઓ પરિવારના સભ્યો પાસે રાખે છે કે ક્યારેક કોઈ એને સમજશે પરંતુ મોટા પ્રમાણમાં એવું થતું નથી અને એ અપેક્ષાઓનો બોજ વધારે પ્રમાણમાં થાય ત્યારે આક્રોશ બનીને ભયંકર પરિણામ લાવે છે.
બીજું ઉદાહરણ જોઈએ તો નોકરીમાં ઉચ્ચ પદવી માટે થોડું ઘણું જતું કરવું પડે ખોટું થતું હોય તો આંખો આડા કાન કરવા પડે કારણ અત્યારે ક્યાંય જોઇએ એવી સારી નોકરી નથી અને સારો પગાર નથી એટલે જતું કરો.
ત્રીજું અને ખાસ ઉદાહરણ દીકરી કે દીકરો બીજી જ્ઞાતિમાં લગ્ન કરવાની જીદ કરે અને એ જીદ પુરી ના થાય તો આત્મહત્યા કરે અથવા ઘર છોડી ભાગી જાય આ ભયને કારણે માતા પિતા પોતાના બાળકોની જીદને પુરી કરવા જતું કરે છે અને એ જતું કરવાની હોડમાં માતા પિતા ના સ્વમાન ને હમેશા નીચું જોવું પડે છે કારણ દીકરી એ બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યા છે તો એના સાસરા પક્ષની ડિમાન્ડ પુરી કરવું જરૂરી છે કેમ? તો જવાબ છે દીકરી ત્યાં સુખી રહે.અને દીકરો બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યા તો વહુની જીદને પોષવાની કેમ? વહુ છે કોઈની દીકરી છે અને બન્નેને અગાઢ પ્રેમ છે માટે. આ ઉદાહરણ તો બીજી જ્ઞાતિમાં કરેલ લગ્ન માટે કરી છે પરંતુ જ્યારે પોતાની જ જ્ઞાતિ સમાજ માં છોકરા છોકરીઓ લગ્ન કરે છે ત્યારે પણ પરિસ્થિતિ આજ હોય છે અને આખરે બાળકોની જીદને પુરી કરવા માટે માતા પિતા વૃદ્ધાશ્રમમાં આશરો લઈને રહેતા હોય છે .કારણ જતું કરો હવે કેટલું જીવીશું? .
કયા સુધી આ જતું કરો કહેવું?
હર્ષા દલવાડી તનુ
જામનગર.


