કલેકટરશ્રી રચિત રાજ જિલ્લા વહીવટી તંત્રને પ્રજા કેન્દ્રિત અને વધુ પરિણામલક્ષી બનાવવા ઉપર ભાર મૂકી રહ્યા છે. આ માટે જિલ્લા વહીવટી તંત્રની ટીમ ગામે-ગામે જઈ પ્રજા સાથે સહકાર કેળવી રહી છે. સાથે જ લોકોના પ્રશ્નો સાંભળી તેનું સ્થળ પર જ નિરાકરણ આવે તેવા અભિગમ સાથે અનેક પ્રજાલક્ષી પ્રશ્નોનું રાત્રીસભાના માધ્યમથી નિરાકરણ કરવામાં આવ્યું છે.
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના અને તાલુકા કક્ષાના અધિકારીઓની ટીમોએ ભેંસાણના વાંદરવડ, મેંદરડાના રાજાવડ, માંગરોળના શેરીયાજ, માળીયા હાટીનાના આંબેચા, કેશોદના ખમીદાણા અને માણાવદરના વેળવા ગામમાં જઈ રાત્રિસભા યોજી હતી. જેમાં લોકોના પ્રશ્નો-સમસ્યાઓ સાંભળી, તેનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી.
વાંદરવડમાં ૨૦, રાજાવડમાં ૧૩ શેરીયાજના ૧૨, આંબેચાના ૦૯, ખમીદાણાના ૧૭, અને વેળવાના ૦૮ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ રાત્રી સભામાં અધિકારીઓએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી વહીવટને વધુ સમાવેશી બનાવવા અને વિના વિલંબે પ્રજાલક્ષી સેવાઓ મળી રહે સહિતના મુદ્દે વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
ઉપરાંત ગ્રામજનો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. સાથે તેમને પ્રાકૃતિક ખેતીના ફાયદા અને તેના માટે ઉપલબ્ધ માર્કેટ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.
આ રાત્રી સભાઓમાં સામાજિક સુરક્ષા, શિક્ષણ, કૃષિ સહિતના વિભાગની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રની પહેલરૂપ એવી પિંક કાર્ડ, ગ્રે કાર્ડ, પ્રોજેક્ટ આશીર્વાદ વગેરે જાણકારી આપવામાં આવી હતી. અને તેના લાભો પણ મેળવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો ઉકેલવા માટે જિલ્લા તંત્રના અધિકારીઓને ગ્રાસ રૂટ લેવલ પર જઈ અને રાત્રી સભા સહિતના પ્રકલ્પોના માધ્યમથી સૂચના આપવામાં આવી હતી.


