ખરા સમયે માર્ગ અકસ્માતમાં લોકોનો જીવ બચાવનાર ચાર નાગરિકોને ગુડ સમરિટન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
આ ચારે ય નાગરિકોએ ગોલ્ડન અવર એટલે કે, અકસ્માત થયાના એક કલાકના સમયની અંદર અકસ્માતનો ભોગ બનનારને હોસ્પિટલ પહોંચાડ્યા હતા અને તેમનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી
આ પ્રસંગે ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી દેવાભાઈ માલમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન દિનેશભાઈ ખટારીયા, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, કલેકટર શ્રી રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ સહિતના પદાધિકારી-અધિકારીઓની ઉપસ્થિતિમાં ચારે ય નાગરિકોને ગુડ સમરિટન એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ તકે અકસ્માતની ઘટના ઘટે ત્યારે તાત્કાલિક અકસ્માતનો ભોગ બનનાર લોકોનો જીવ બચાવવા અને હોસ્પિટલ પહોંચાડવા માટે એક સામાજિક જવાબદારી સમજી તેને નિભાવવા માટે આગળ આવવા અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત પદાધિકારી-અધિકારીઓ જોડાયા હતા.
આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓને માર્ગ સલામતી માટે વ્યાપક જનજાગૃતિ ઉભી કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
